રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ‘ ભગવાન જગન્નાથ’ના રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ
અષાઢી બીજે કોટેચા ચોકથી સાંજે ૫ વાગ્યે પ્રભુ નગરચર્યાએ નીકળશે; ૫૦૦૦ કિલો બુંદીના ૧ લાખ પેકેટના પ્રસાદનું વિતરણ થશે, આ વર્ષે પ્રથમવાર જેતપુર અને ગોંડલમાં પણ ફરશે પ્રભુનો રથ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા.૧૬ જુલાઈને ગુરુવારના અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી આ પરંપરા અંતર્ગત આ વર્ષે શહેરભરમાં ૨૪મી રથયાત્રા અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કાઢવામાં આવશે. સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શને જાય છે, પરંતુ જગન્નાથજી સ્વયં ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે.
ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૬મી જુલાઈના રોજ રથયાત્રાનું પ્રસ્થાન બપોરે/સાંજે ૫:૦૦ કલાકે રામકૃપા ડેરી (કોટેચા ચોક) ખાતેથી થશે. ત્યારબાદ કોટેચા ચોક, યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે.કે.ચોક થઈ કાલાવડ રોડ પર એ. જી. ચોક, જડ્ડુસ સર્કલ, રંગોલી પાર્ક (ગુજરાત હાઉસિંગ બોર્ડ) પાસેથી પસાર થઈને જીનિયસ રોડ થઈ ઇસ્કોન મંદિર ખાતે પરત ફરશે. ત્યારબાદ રાત્રે રાત્રે ૮:૦૦ વાગ્યે રથયાત્રાના સમાપન બાદ તમામ દર્શનાર્થીઓ માટે ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જગન્નાથપુરીની જેમ જ સૌરાષ્ટ્રના ભક્તોને પ્રભુના દર્શનનો લાભ મળે તે માટે ઇસ્કોન મંદિરે અનોખી પહેલ કરી છે. રાજકોટ મંદિરના જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજી આગામી ૯ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ભ્રમણ કરશે. દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને ખંભાળિયા ઉપરાંત આ વર્ષે પ્રથમ વખત જેતપુર અને ગોંડલ શહેરમાં પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે.
રથયાત્રા દરમિયાન રાજકોટના રાજમાર્ગો પર કોઈ ભક્ત પ્રસાદથી વંચિત ન રહે તે માટે મંદિર પરિવાર દ્વારા આશરે ૫૦૦૦ કિલો બુંદી બનાવીને તેના ૧ લાખ જેટલા પેકેટો તૈયાર કરવામાં આવશે. આ બુંદી પેકિંગની સેવા રથયાત્રાના ૩-૪ દિવસ પહેલાંથી જ મંદિરે શરૂ કરી દેવામાં આવશે.
ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને પોતપોતાના ઘરની નજીકના રૂટ પરથી રથયાત્રામાં જોડાવા તથા સાંજે મંદિરે મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


