- મંત્રીની સરપ્રાઈઝ ચેકિંગ વિઝિટ
- લખતરમાં અનાજના ગોડાઉન ખાતે પહોંચ્યા મંત્રી કુંવરજીભાઈ
- અનાજના કટ્ટાઓનું વજન ચેક કરાવી તોલાવ્યું
સુરેન્દ્રનગરના લખતરમાં અનાજના ગોડાઉનમાં પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સરપ્રાઈઝ વિઝિટ હાથ ધરી હતી અને અનાજ વિતરણને લઈને તમામ વિગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી. મહત્વનું છે કે આ વખતે તેમણે જાતે જ અનાજના ગોડાઉનમાં મૂકવામાં આવેલા અનાજના કટ્ટાઓનું વજન ચેક કરાવીને જોયું હતું.
આ ઘટનાની માહિતી પ્રમાણે લખતર તાલુકામાં આજરોજ પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા લખતરમાં આવેલ પુરવઠાના અનાજ ગોડાઉનને અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ગોડાઉનમાં ગોડાઉનની અંદર તમામ અનાજનો પુરવઠાનો જથ્થો ચેક કરવામાં આવ્યો હતો. કુંવરજી બાવળીયાએ ગોડાઉન ખાતેના અનાજ ગોડાઉનના મેનેજરને અને કોન્ટ્રાક્ટરને સમયસર રેશનિંગના દુકાન ધારકોને સમયસર જથ્થો પહોંચાડવા માટેની તાકીદ કરી હતી અને ગોડાઉન ખાતે સિંચાઈ મંત્રી દ્વારા અનાજના કટ્ટાનું વજન કરીને તેની ચકાસણી પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત અનાજના નમૂના લઈ પુરવઠા મંત્રી દ્વારા તેને ચેક કરી તેને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રી કુંવરજી બાવળિયાએ સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા અને અનાજ પુરવઠાના મેનેજર અને મામલતદારને તાકીદ કરી હતી કે સમયસર 20 તારીખ પહેલા દરેક દુકાનદારોને વહેલામાં વહેલા અનાજનો જથ્થો પહોંચે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. આ માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ સમયે ઇન્ચાર્જ મામલતદાર એમ જે નાકિયા ગોડાઉન મેનેજર બિપીનભાઈ ધોરળિયા તેમજ મામલતદારના પુરવઠા વિભાગના અધિકારીઓ અને લખતરના અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મંત્રી કુંવરજી બાવળિયાની આ વિઝિટ એવા સમયમાં કરવામાં આવી છે જ્યારે કે રેશનિંગ દુકાન સંચાલકો અને ગુજરાત સરકાર વચ્ચે અમુક મુદ્દાઓને લઈને મડાગાંઠ સર્જાઈ હતી અને દુકાનધારકોએ હડતાળ પાડી દીધી હતી. બે વાર સરકાર સાથે એસોસિએશનના આગેવાનોએ ચર્ચા કરી હતી પરંતુ તો પણ આ હડતાળનો છેડો આવ્યો નહતો. જેના લીધે દિવાળીના ટાણે જ ગરીબોને તેમના હકનું અનાજ ન મળવાની સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે સરકારે પણ એનજીઓ, સખી મંડળો અને દૂધ સહકારી મંડળીઓ થકી અનાજ વિતરણની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી હતી પરંતુ સરકારના પ્રયાસોના લીધે આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું અને દુકાનધારકોએ સરકારના આશ્વાસન બાદ હડતાળ સમેટી લીધી હતી.


