- કરોડોની રકમથી તૈયાર કરેલા વિશેષ સુવર્ણના વાઘા શણગાર
- શતામૃત મહોત્સવમાં જોડાઈ દર્શન લાભ લેવા માટે ભાવિકોને અપીલ
- હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ, ગૌપુજન સહિતના કાર્યક્રમનું આયોજન
સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે નૂતન વર્ષ નિમિત્તે દેશ વિદેશ અને રાજ્યના હજારો ભાવિક ભક્તો દર્શને ઉમટી પડ્યા છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે કરોડોની માતબર રકમથી બનાવાયેલા વિશેષ વાઘા શણગારના દર્શન સજાવવામાં આવ્યા છે.
હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ, ગૌપુજન સહિતના કાર્યક્રમનું આયોજન
યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ, ગૌપુજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલું સુપ્રસિદ્ધિ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર એટલે કે શ્રદ્ધા કા દૂસરા નામ સાળંગપુર ધામ કે જ્યાં આજે વિક્રમ સંવંત 2080ની શરૂઆતની સાથે એટલે કે નૂતન વર્ષ નિમિત્તે દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શને પડ્યા છે.
કરોડોની રકમથી તૈયાર કરેલા વિશેષ સુવર્ણના વાઘા શણગાર
કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે કરોડોની રકમથી તૈયાર કરેલા વિશેષ સુવર્ણના વાઘા શણગાર સજાવવામાં આવ્યા છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરને વિવિધ રંગબેરંગી ફૂલોના શણગાર સજાવવામાં આવ્યુ છે. મંદિર વહીવટી વિભાગ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે ગૌ પૂજન અન્નકૂટ સહિતના અનેકવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો નુતન વર્ષ નિમિત્તે દર્શને પધારેલ ભક્તોએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં આદિ વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી છે. ભક્તોએ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તે માટેના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ખાતેના સંતોના આશીર્વાદ મેળવી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી હજારોની સંખ્યામાં ભાવિકોએ પ્રાર્થના કરી હતી.
શતામૃત મહોત્સવમાં જોડાઈ દર્શન લાભ લેવા માટે ભાવિકોને અપીલ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેને લઇ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હોય તેવા નુતન વર્ષના ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે તારીખ 16 નવેમ્બર 2023 ના રોજથી સાળંગપુર ખાતે શરૂ થનાર 175 માં શતામૃત મહોત્સવમાં જોડાઈ દર્શન લાભ લેવા માટે ભાવિકોને અપીલ કરી હતી.


