- આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમમાં સુનાવણી
- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખતા ચુકાદો આપ્યો
- ઐતિહાસિક અને આશાનું કિરણ અને ઉજ્જવળ ભવિષ્યનું વચન: પીએમ મોદી
જમ્મુ કાશ્મીર વિશેષ દરજ્જો આપતા આર્ટીકલ 370ને નાબૂદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને માન્યતા આપી દીધી છે અને સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. આર્ટીકલ 370 મામલે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ કાશ્મીર માંથી આર્ટીકલ 370ને નાબૂદ કરવાનો આદેશ બંધારણીય દ્રષ્ટિએ ન્યાયિક છે. અમે 370ને નાબૂદને લઈને કોઈ દુર્ભાવના નથી જોઈ રહ્યા. ત્યારે, આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે જેને લીધે સરકારના નિર્ણયને બંધારણીય સમર્થન મળ્યું છે. સુપ્રીમના નિર્ણયને ઐતિહાસિક અને આશાનું કિરણ અને ઉજ્જવળ ભવિષ્યનું વચન ગણાવ્યો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું છે કે, આર્ટીકલ 370ની નાબૂદી પર આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને સંવૈધાનિક રૂપે સ્થાયી રાખે છે. આ જમ્મુ કાશ્મીર અને લદાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર જાહેરાત છે. કોર્ટે પોતાના ઊંડા જ્ઞાનથી એકતાના મૂળ સારને મજબૂત કરો છે, જેને આપણે ભારતીય હોવાને નાતે બાકી બધાથી ઉપર પ્રિય માણીએ છીએ.
જમ્મુ કાશ્મીરના લોકોના ઉજ્જવળ ભવિષ્યનો વાયદો કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ‘હું જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને આશ્વાસન આપવા માંગુ છું કે તમારા સપના પૂરા કરવા માટે અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. અમે એ પણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિનો લાભ ન માત્ર તમારા સુધી પહોંચે, પરંતુ તેનો લાભ આપણાં સમાજના સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગોને સુધી પણ પહોંચે જે આર્ટીકલ 370ને કારણે પીડિત હતા.
પોસ્ટના અંતમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો નિર્ણય ન માત્ર કાનૂની ચુકાદો છે પરંતુ આશાનું કિરણ પણ છે જે ઉજ્જવળ ભવિષ્યનો વાયદો કરે છે અને મજબૂત, વધુ એકજુટ ભારતના નિર્માણના અમારા સામૂહિક સંકલ્પનું ઉદાહરણ છે.


