- ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભડક્યું યુદ્ધ
- બંને પક્ષે ખેલાઈ રહ્યું છે ખૂંખાર યુદ્ધ
- અનેક ગણી ખુવારી થઈ છે બંને પક્ષે
ઈઝરાયેલ પર હમાસ નામના આતંકી સંગઠને એક મોટો અને ચોંકાવનારો હુમલો કર્યો છે. જેમાં બંને પક્ષે મોટી ખુવારી થઈ છે. આ દરમિયાન ઈઝરાયેલમાં કામ કરતા એક ગુજરાતી યુવાનનો વીડિયો સામે આવ્યો છે.
ઇઝરાયેલ પર શનિવાર (7 ઓક્ટોબર 2023) ની વહેલી સવારે હમાસના બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગાઝા પટ્ટીમાં, હમાસના હુમલાખોરોએ પહેલા ઓછામાં ઓછા 5,000 રોકેટ છોડ્યા પછી પેરાગ્લાઈડિંગ, રોડ અને અન્ય માર્ગો દ્વારા ઈઝરાયેલમાં પ્રવેશ કર્યો અને તેમની સામે કોઈને પણ ગોળી મારી. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ જાહેર કર્યું છે અને સમગ્ર ઈઝરાયેલમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હમાસ દ્વારા આજે સવારે એક મોટી ભૂલ કરી છે, તેઓએ ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું છે, ઇઝરાયેલ ચોક્કસપણે જીતશે.
આ બધાની વચ્ચે ગુજરાતના એક યુવાનનો ઈઝરાયેલથી વીડિયો સામે આવ્યો છે. જેમાં તે યુદ્ધની પરિસ્થિતિ અને પોતાની આપવીતી જણાવી રહ્યો છે. તે વીડિયોમાં કહી રહ્યો છે કે હાલ જેરૂસલેમમાં પણ રોકેટ હુમલા થયા છે અને લોકો ઘવાયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના આશરે 25 હજાર જેટલા લોકો ઈઝરાયેલના જેરૂસલેમમાં કામ કરી રહ્યા છે અને પોતાનું રોજગાર ચલાવે છે. ત્યારે આ હુમલાના લીધે ગુજરાતમાં રહેતા તેમના પરિજનોમાં ચિંતાનો માહોલ છે. પોરબંદરના રાણાવાવના વતની યુવાને કહ્યું હતું કે હાલ અહીં આતંકીઓ લોકોને ગોળીઓ મારી રહ્યા છે.
મહત્વનું છે કે હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં 17 સૈન્ય કમ્પાઉન્ડ અને 4 સૈન્ય મુખ્યાલય પર હુમલો કરવાનો દાવો કર્યો છે. આમાં અત્યાર સુધીમાં 198 પેલેસ્ટાઈન નાગરિકોનાં મોત થયા છે, જ્યારે 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. અલજઝીરા અનુસાર 1000થી વધુ પેલેસ્ટાઈન ઈઝરાયેલમાં પ્રવેશી ચૂક્યા છે. આવું 1948 પછી પહેલીવાર બન્યું છે. તે જ સમયે, હમાસ દ્વારા સવારે છોડવામાં આવેલા 5 હજાર રોકેટના કારણે 70 ઇઝરાયેલીઓનાં મોત થયા છે અને 750 ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીથી હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી હતી. કેબિનેટ સાથેની ઈમરજન્સી મીટિંગ બાદ તેમણે કહ્યું હતું – આ એક યુદ્ધ છે અને અમે ચોક્કસપણે જીતીશું. દુશ્મનોને આની કિંમત ચૂકવવી પડશે.
ઈઝરાયેલમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે ત્યાં હાજર પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમને એલર્ટ અને સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત, ઇઝરાયેલ અને ભારતથી આવતી ફ્લાઇટ્સ પણ અટકાવી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારત મુશ્કેલ સમયમાં ઈઝરાયેલના લોકોની સાથે છે. જેના માટે ઈઝરાયેલ દ્વારા ભારતનો આભાર પણ માનવામાં આવ્યો હતો.