- ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે ઈરાને પણ બળતામાં ઘી હોમ્યું
- ઈઝરાયલ પર ઈરાકના હુમલાની અમેરિકા અને યુએન સહિતના દેશોએ તેની નિંદા કરી
- ઈરાકના સમદુ:ખિયા દેશોએ પણ ઈઝરાયલના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં ઈરાને ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધારી દીધો છે. હવે આમાં મધ્ય-પૂર્વ સિવાય યુરોપ અને એશિયાના ઘણા દેશો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એન્ટ્રી કરે તેવી આશંકા સેવાઈ રહી છે. ઈરાનની સાથે સીરિયા, લેબનોન અને ઈરાકના સમદુ:ખિયા દેશોએ પણ ઈઝરાયલના સૈન્ય સ્થળો પર હુમલો કર્યો છે. આવામાં ઈઝરાયલ ભયંકર વળતી કાર્યવાહી કરશે.
આજે વહેલી સવારે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાએ ત્રીજા વિશ્વયુદ્ધનો બૂંગિયો વગાડ્યો છે. અણધાર્યું પગલું ભરતાં ઈરાને રવિવારે વહેલી સવારે ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ઈરાને ઈઝરાયેલ પર સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલ છોડીને ગભરાટ ફેલાવ્યો હતો. “આજની શરૂઆતમાં, ઈરાન, તેમજ યમન, સીરિયા અને ઈરાકમાં ઈરાની સહાનુભૂતિ ધરાવતા લોકોએ ઈઝરાયેલમાં લશ્કરી સ્થાપનોને નિશાન બનાવીને અચાનક હુમલો કર્યો. ચારેબાજુ હુમલાઓથી ઈઝરાયેલ સ્તબ્ધ થઈ ગયું હતું. જો કે, ઇઝરાયેલની સેનાએ આમાંના મોટાભાગના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. ઈરાન સહિત અન્ય દેશોના ડ્રોન અને મિસાઈલને તોડી પાડવામાં અમેરિકાએ ઈઝરાયેલની પણ મદદ કરી હતી.
ઈરાનના આ હુમલાએ હવે સમગ્ર પશ્ચિમ એશિયાને પ્રાદેશિક યુદ્ધની નજીક ધકેલી દીધું છે. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈરાને અનેક ડ્રોન, ક્રુઝ મિસાઈલ અને બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા હતા, જેમાંથી મોટા ભાગના ઈઝરાયેલની સરહદોની બહાર નાશ પામ્યા હતા. તેમણે કહ્યું કે યુદ્ધ વિમાનોએ ઈઝરાયેલની હવાઈ ક્ષેત્રની બહાર 10થી વધુ ક્રુઝ મિસાઈલોનો નાશ કર્યો, પરંતુ કેટલીક મિસાઈલો ઈઝરાયેલમાં પડી. બચાવકર્તાઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ ઇઝરાયેલના બેદુઇન આરબ નગરમાં હુમલામાં 10 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. હગારીએ જણાવ્યું હતું કે અન્ય એક મિસાઇલ લશ્કરી થાણા પર વાગ્યું હતું, જેના કારણે ત્યાં નજીવું નુકસાન થયું હતું. હગારીએ કહ્યું, “ઈરાને મોટા પાયે હુમલો કર્યો છે અને તણાવમાં વધારો કર્યો છે.
ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરી શકે છે
ઈરાનના આ હુમલા બાદ હવે ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરી શકે છે. તેનાથી યુરોપથી લઈને મધ્ય પૂર્વ સુધીના દેશોમાં તણાવ વધુ વધશે. હગારીએ કહ્યું કે ઇઝરાયેલની સુરક્ષા માટે જે જરૂરી હશે તે સેના કરશે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલના રોજ સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. બે ઈરાની જનરલ સહિત 7 જવાનોની હત્યા બાદ ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈરાને આ હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ઈઝરાયેલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી શરૂ થયેલી દાયકાઓની દુશ્મનાવટ પછી ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
અમેરિકા અને યુએન સહિતના દેશોએ તેની નિંદા કરી
ઈઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર, ફ્રાન્સ, બ્રિટન વગેરે દેશોએ ઈરાનના હુમલાની નિંદા કરી છે. ભારતે ઈઝરાયેલ અને ઈરાન બંનેને શાંતિ જાળવવાની અપીલ કરી છે. યુદ્ધ વધવાના ભયને જોતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તરત જ જી-7 દેશોની બેઠક બોલાવી છે. બીજી તરફ ઈરાને યુએનને પત્ર લખીને કહ્યું છે કે જો ઈઝરાયેલ હવે હુમલો કરશે તો તે ઘાતક પ્રહાર કરશે.
ત્રીજા વિશ્વ યુદ્ધની ઘંટડી વાગી છે
નિષ્ણાતોના મતે ઈરાનના ઈઝરાયેલ પર સીધા હુમલાથી ત્રીજા વિશ્વ યુદ્ધનો ભય વધી ગયો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં ડિપ્લોમસીના આસિસ્ટન્ટ પ્રોફેસર. ડૉ.અભિષેક શ્રીવાસ્તવ કહે છે કે ઑક્ટોબરમાં જ્યારે ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારે ડર વધી ગયો હતો કે અન્ય દેશો પણ તેમાં પ્રવેશ કરશે. પાછળથી પણ એવું જ થયું. આ યુદ્ધમાં લેબનોન, યમન, સીરિયા અને ઈરાનના ઉગ્રવાદી જૂથો (હિઝબુલ્લાહ, હુથી) જેવા સંગઠનોએ ઈઝરાયેલ સાથે સીધું યુદ્ધ કર્યું. હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે અથડામણ થઈ રહી છે. લાગે છે કે ઈઝરાયેલ પણ બદલો લેશે. આ હુમલા બાદ તે ચૂપ રહેવાના નથી. પ્રો. અભિષેક શ્રીવાસ્તવે કહ્યું કે ઈઝરાયેલ અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર છે. આવી સ્થિતિમાં, તે આમાં ઇઝરાયેલને સંપૂર્ણ મદદ કરશે. જો કે આ દરમિયાન અમેરિકા ઈઝરાયેલ પર કડક થઈ ગયું હતું, પરંતુ આ ક્ષેત્રમાં પોતાની તાકાત જાળવી રાખવા માટે તે હવે ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપશે.
રશિયા અને ચીન ઈરાનને મદદ કરશે
પ્રો. અભિષેકે કહ્યું કે આવી સ્થિતિમાં રશિયા અને ચીન ઈરાનને મદદ કરશે. સાથે જ ઉત્તર કોરિયા પણ રશિયા અને ચીનની સાથે છે. આવી સ્થિતિમાં આ તણાવ કોઈપણ ખતરનાક વલણ અપનાવી શકે છે. રશિયા અને યુક્રેન યુદ્ધ પહેલેથી જ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ભારતનો સવાલ છે, ઈઝરાયેલ અને ઈરાન બંને સાથે અમારા સંબંધો ઘણા સારા છે. તેથી ભારતે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ભારત બંને પક્ષો વચ્ચે શાંતિ સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ કરશે. આ ઉપરાંત ભારતની પ્રાથમિકતા ઈઝરાયેલ-ઈરાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને તેમને ત્યાંથી બહાર કાઢવાની પણ રહેશે. મધ્ય પૂર્વના અન્ય દેશો પણ આ યુદ્ધથી પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં તેની અસર ભારતની ઉર્જા જરૂરિયાતો પર પણ પડશે. ઉર્જા પુરવઠાની સાંકળ ખોરવાઈ શકે છે. મધ્ય પૂર્વમાં આ સંઘર્ષ કેવા વળાંક લેશે તેના પર ભારત અને અમેરિકા સહિત તમામ દેશોની નજર છે.


