- ઓર્થો.ના વિદ્યાર્થીએ અધ્યાપક સામે હેરાનગતિની ફરિયાદ કરી હતી
- ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા નર્સિંગ ઉત્તરવહીકાંડમાં કાર્યવાહીના નામે તૂત
- બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગની બે ફરિયાદ થઈ હતી
બી.જે. મેડિકલમાં ઓર્થોપેડિકમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના અધ્યાપક દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાથી ફરિયાદ કરી હતી. ફરિયાદને લઈ નિમાયેલી કમિટી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.જેનો તપાસ રિપોર્ટ યુનિર્સિટીને સોંપાયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ બીએસસી નર્સિંગના ઉત્તરવહીકાંડને એક વર્ષ થવા આવ્યું છતાં ગુજરાત યુનિ. દ્વારા પરિણામ રદ કરવા સિવાયની હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગની બે ફરિયાદ થઈ હતી, જેમાં અધ્યાપક દ્વારા હેરાનગતિ કરાતી હોવાની ઘટનામાં તપાસ હાથ ધરાયા બાદ કમિટીએ રિપોર્ટ કોલેજને આપ્યો હતો અને કોલેજ દ્વારા યુનિ.ને રિપોર્ટ મોકલી અપાયો છે. આ સિવાય અન્ય ઘટનામાં મધ્ય પ્રદેશનના બે વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ કરી હતી. આ ઘટનામાં તપાસ કમિટીએ વિદ્યાર્થીને રૂબરૂમાં બોલાવવામાં આવતાં બોન્ડમાંથી છૂટકારો આપવા અને બી.જે. મેડિકલમાં અભ્યાસ કરવા તૈયાર ન હોવાનું જણાવ્યું હતું. અધ્યાપકની હેરાનગતિમાં કમિટી દ્વારા અધ્યાપક સામે કેવા પ્રકારના પગલાં લેવા અને મધ્ય પ્રદેશના વિદ્યાર્થીની રેગિંગની ફરિયાદમાં શું કરવું તેનો અહેવાલ સમિતિ દ્વારા આપી દેવાયો છે.
ગુજરાત યુનિ.માં બીએસસી નર્સિગના 14 અને ફિઝિયોથેરાપીમાં 4 વિદ્યાર્થીએ પરીક્ષા આપ્યા બાદ ઉત્તરવહીઓ ગૂમ થઈ ગઈ હતી. જે તે સમયે એવા આક્ષેપો થયા હતા કે, દરરોજ ચોક્કસ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ રાત્રે બહાર લઈ જઈને તેમાં જવાબો લખીને વહેલી સવારે ઉત્તરવહીઓ જે તે જગ્યાએ પરત મુકી દેવામાં આવતી હતી. આ ઘટનામાં યુનિ.એ તપાસ કમિટી રચી હતી. કમિટી દ્વારા આ વિદ્યાર્થીઓને તમામ વિષયમાં નાપાસ કરવા ઉપરાંત એનરોલમેન્ટ રદ કરીને નર્સિગ કાઉન્સિલ, ફિઝિયોથેરાપી કાઉન્સિલ હોય તો તે સહિતની સંબંધિત કાઉન્સિલને જાણ કરીને ભવિષ્યમાં પણ આ વિદ્યાર્થીઓને કોઈ જગ્યા પ્રવેશ ન મળે તેવી વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાને એક વર્ષ કરતાં વધારે સમય થઇ ગયો છતાં હજુ સુધી વિદ્યાર્થીઓના પરિણામ રદ કરવા સિવાય કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.


