ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. લોકો પાસેથી વધુ પૈસા લેવા માટે પઠાણી ઉઘરાણી કરીને જીવ લેનારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ખુદ પોલીસ પુત્ર જ વ્યાજખોર બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રએ વ્યાજે આપેલા રૂપિયા પરત લેવા માટે પઠાણી ઉઘરાણી કરી હોવાનું સામે આવ્યું છે. તેણે 90 હજાર રૂપિયા વ્યાજે આપીને 1.73 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં નિવૃત પોલીસકર્મીનો પુત્ર બન્યો વ્યાજખોર
સુરતમાં નિવૃત્ત પોલીસ પુત્ર વ્યાજખોર બની આતંક મચાવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. તેણે વ્યાજે 90 હજાર રૂપિયા આપ્યા હતાં તેના બદલામાં 1.73 લાખ રૂપિયા પડાવ્યા હતાં. તે છતાંય વધુ વ્યાજ લેવાની લાલચમાં તેણે રૂપિયા પડાવ્યા બાદ ભોગ બનનાર પાસેથી 3.50 લાખનો ચેક પણ લીધો હતો. આ ચેક બાઉન્સ થતાં જ ધમકી આપી હતી. ત્યાર બાદ ભોગ બનનારે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નિવૃત પોલીસકર્મીના પુત્ર દિપક પવારની ધરપકડ
પોલીસે ફરિયાદના આધારે નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર દિપક પવાર અને અન્ય એક વ્યાજ ખોર લક્ષ્મણ ઠાકુરની ધરપકડ કરી હતી. થોડા સમય પહેલા ધંધાની અદાવતમાં વ્યાજખોરની ઓફિસ પર ફાયરિંગ થયું હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો. જે પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. તે જ પોલીસ કર્મીઓના પુત્રો હવે વ્યાજખોર બની આતંક મચાવી રહ્યાં છે.


