હિંમતનગરના ટાવર રોડ પર ‘બિગબુલ ફેમિલી’ નામની કંપની ખોલીને રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપતી પોન્ઝી સ્કીમનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્રણ સંચાલકોએ શેરબજારમાં રોકાણના નામે રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી આચરી હોવાની નવી ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા
હિંમતનગર તાલુકાના જામળા ગામના વિશ્વજીતસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, જગદિશગીરી ગોસ્વામી, શીતલબેન ગોસ્વામી અને વિપુલસિંહ ચૌહાણ નામના શખ્સોએ ‘બિગબુલ ફેમિલી’ નામની પેઢી શરૂ કરી હતી. આરોપીઓએ રોકાણકારોને એવી ખાતરી આપી હતી કે તેમની કંપની શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કરે છે. તેમણે રોકાણકારોને આકર્ષવા માટે ડિપોઝિટ પર માસિક 5 ટકા વ્યાજ આપવાનું અને મુદત પૂરી થયે પૂરેપૂરી રકમ પરત કરવાનું વચન આપ્યું હતું.
4 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત
વિશ્વજીતસિંહે આરોપીઓની વાતોમાં આવીને લાખોનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની સ્કીમ બેંકો અને અન્ય સંસ્થાઓ કરતા વધુ વળતર આપે છે. જોકે, જ્યારે રોકાણની પાકતી મુદત આવી ત્યારે સંચાલકોએ વળતર તો દૂર, મૂળ રકમ પરત કરવામાં પણ ઠાગાઠૈયા શરૂ કર્યા હતા. અંતે રૂ. 4 લાખની રકમ પરત ન મળતા ભોગ બનનાર યુવકે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ
આ કોઈ પ્રથમ કિસ્સો નથી; ‘બિગબુલ ફેમિલી’ ના આ ત્રણેય સંચાલકો વિરુદ્ધ અગાઉ પણ અનેક રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


