આબુમાં માઇનસ 3 ડિગ્રી : સૌરાષ્ટ્રમાં રાતો રાત તાપમાનમાં પ ડિગ્રીનો ઘટાડો
રાજ્યમાં બીજા નંબરે સૌથી ઠંડુ શહેર : ઠારના લીધે ઠંડીનો વધુ અનુભવઃ હવામાન શાસ્ત્રીઓ કહે છે સોમવાર સુધી ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે
આ વખતે ઠંડીએ તેનો અસલ મિજાજ બતાવ્યો નથી. ડિસેમ્બર મહિનો આખો પૂરો થઈ ગયો આમ છતાં બે ચાર શહેરોને બાદ કરતાં જોરદાર ઠંડી પડી નથી. થર્ટી ફર્સ્ટના પણ માત્ર ચમકારા અનુભવાયા હતા. તો આજે નવા વર્ષના ત્રીજા દિવસે ફરી તાપમાન ગગડયું છે. રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં નોંધાયો છે.
હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છે. ૫ જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને લઘુત્તમ તાપમાન અમુક શહેરોમાં સીંગલ ડીજીટમાં રહેશે. ઉત્તર ગુજરાત અને પંચમહાલ પટ્ટામાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને ગિરનાર પગર્વતમાળા અને આસપાસના વિસ્તારોમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થશે.
દરમિયાન રાજકોટ શહેરમાં આજે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. લઘુત્તમ તાપમાન ૯.૪ ડીગ્રી છે. જે રાજ્યમાં બીજા નંબરે સૌથી ઠંડુ શહેર બન્યું છે.આમ, તો છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીના ચમકારા અનુભવાઈ રહ્યા હતા. બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. ન્યુનતમ તાપમાન ૧૨ થી ૧૫ ડીગ્રી આસપાસ જોવા મળે છે.ઠંડીએ એકાએક ગતિ પકડતા રંગીલા રાજકોટીયનો ધ્રુજી ગયા હતા. શહેરીજનો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળે છે. ફરી તાપણાની મોસમ શરૂ થઇ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી ગગડી ગયો છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા બન્યું છે અને નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં અહિં 3.8 ડિગ્રી તાપમાન ઘટયું છે.
માઉન્ટ આબુ સિઝનની સૌથી વધુ ઠંડી અનુભવાઈ, કારણ કે તાપમાનમાં નાટ્યાત્મક ઘટાડો થયો હતો, જેના કારણે લોકપ્રિય હિલ સ્ટેશન શૂન્યથી નીચે ગયું હતું. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન લગભગ 10 ડિગ્રી સેલ્સિયસ ઘટીને માઈનસ 3 થયું હતું, જેના કારણે અમુક સ્થળે બરફ જામેલો જોવા મળ્યો હતો.કડકડતી ઠંડીને કારણે અનેક સ્થળોએ બરફનું નિર્માણ થયું. પોલો ગ્રાઉન્ડ પર બરફની પાતળી ચાદર જોવા મળી હતી, જ્યારે બગીચાઓ અને ખુલ્લી જગ્યાઓ સફેદ હિમથી ઢંકાયેલી હતી. શૂન્યથી નીચે તાપમાન ઘટવાને કારણે, સપ્તાહના અંતે પ્રવાસીઓ માઉન્ટ આબુમાં શિયાળાનો આનંદ માણવા માટે ઉમટી પડવાની શક્યતા છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3.1 ડિગ્રીનો ઘટાડો થતા પારો 15 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે ગાંધીનગરમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ઠંડા પવનોને કારણે જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.
ઠંડી લાંબી નહીં ચાલે : હવામાન વિભાગ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ઠંડીનો આ રાઉન્ડ લાંબો સમય નહીં ટકે. આજથી રાજ્યમાં તાપમાનમાં ધીમેધીમે વધારો થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનું જોર ફરી ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનોની દિશામાં થતા ફેરફારને કારણે ઠંડીમાં ઘટાડો નોંધાશે.
સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શકયતા
મકર સંક્રાંતિ બાદ ગુજરાતને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે. આવનાર વર્ષ દરમિયાન કેટલાક સમયે વાવાઝોડા, ઉનાળા દરમિયાન અતિભારે ગરમી અને ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લામાં કુદરતી આફતો આવી શકે છે આવું પુર્વાનુમાન વ્યક્ત કર્યું છે.
2026નું વર્ષ વાવાઝોડા અને અતિભારે ગરમીથી ભરેલું
દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીક વામજાએ શિયાળો, ઉનાળો અને ચોમાસા દરમિયાન કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે. તે મુજબ આવનારું વર્ષ ઋતુને અનુસાર અનિશ્ચિત અને વાતાવરણમાં અચાનક ફેરફારના વર્ષ તરીકે જણાવી રહ્યા છે. ઉનાળા દરમિયાન અતિભારે ગરમી, શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું અને ચોમાસા દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડું અને કેટલાક જિલ્લામાં કુદરતી આફત આવી શકે છે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે ઉનાળા દરમિયાન અતિભારે ગરમી, ચોમાસુ અનિયમિત રહેવાની સાથે કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાની શક્યતાઓ પણ આ વર્ષ દરમિયાન જોવા મળી શકે છે. 1લી જાન્યુઆરીથી લઈને 5મી જાન્યુઆરી સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
મકરસંક્રાંતિએ વાદળછાયુ વાતાવરણ રહેશે
કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર રમણીક વામજાએ મકરસંક્રાંતિ બાદ ઠંડીની શક્યતાઓ વ્યક્ત કરી છે. મકરસંક્રાંતિનો દિવસ બુધવારે આવી રહ્યો છે તેમાં વિછુડો જોવા મળે છે, જેથી સંક્રાંતિના દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા ખરવાની શક્યતાઓ પણ મકરસંક્રાંતિના દિવસે વ્યક્ત થઈ રહી છે. અનુરાધા નક્ષત્રને કારણે પણ મકરસંક્રાંતિ બાદ અનાજના ભાવો સ્થિર રહે તેવી પણ શક્યતાઓ છે. અખાત્રીજમાં રોહિણી નક્ષત્ર હોવાને કારણે ઉનાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે ગરમી પડે તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. વધુમાં મે મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનામાં પણ વરસાદની સંભાવના
રમણીક વામજા એ 21 થી લઈને 24મી ફેબ્રુઆરીના ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં મોટે ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. આવનારું વર્ષ વેપાર-ધંધા માટે એકદમ મંદીનું હોવાની સાથે વર્ષ-2026 રાજા અને પ્રજા માટે કેટલીક મુશ્કેલી ભર્યા પ્રસંગોનો પણ સામનો કરવો પડી શકે છે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.


