વિપક્ષ ટાઢોબોળ રહ્યો, મનપામાં માત્ર આંકડાઓનો ગરમાવો
ભાજપના મહિલા કોર્પોરેટરના અમૃત યોજનાના એક જ પ્રશ્નમાં સંપૂર્ણ જનરલ બોર્ડ પૂર્ણ કરાયું : અંતિમ જનરલ બોર્ડ હોવા છતાં પણ વિપક્ષને અવસર આપવામાં ન આવ્યો હોવાના આક્ષેપ
મેયર વિશે ટીપ્પણી કરતાં ભાજપના મહિલા કોર્પોરેટરોમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સામે ભારે રોષ : ગરીમા ન જળવાય હોવાની રાવ
વોર્ડ નં.૧૨માં નિર્માણધીન ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષને વાજપેયી નામ આપવા સહિત નામકરણની આવેલી ૧૨ દરખાસ્તોને લીલીઝંડી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું આજે સંભવિત અંતિમ જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડ માત્ર નામકરણ પુરૂતું સિમિત રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસી આવ્યું હતું. વોર્ડ નં.૧૨માં નિર્માણધીન ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ભારત રત્ન અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સ્પોર્ટસ કોમ્પલેક્ષ નામકરણ સહિત ૧૨ જેટલી નામકરણની આવેલી દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી હતી.
મનપાના જનરલ બોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા અમૃત યોજના અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં જ એક કલાક જેટલો સમયગાળો કાઢવામાં આવ્યો હતો અને જનરલ બોર્ડને પૂર્ણ કરવામાં આવ્યો હતો. સંભવિત અંતિમ જનરલ બોર્ડ હોવા છતાં પણ વિપક્ષના કોર્પોરેટરોને પ્રજાકીય પ્રશ્નો બોર્ડમાં પૂછવાનો કે મૂકવાનો અવસર આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
વિપક્ષને અવસર નહી મળતાં મેયર વિરૂધ્ધ ટીપ્પણી કરવામાં આવી હતી. આ ટીપ્પણીને ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા વખોડવામાં આવી હતી અને મહિલા મેયરની ગરીમા ન જળવાય હોવાની રાવ વિપક્ષ સામે કરવામાં આવી હતી. મહિલા કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નગરસેવક દ્વારા મેયરને આંટા વગરના કહેવામાં આવ્યા હતાં. જે ટીપ્પણી પ્રથમ નાગરિકના અપમાનજનક છે અને વિપક્ષે મહિલાઓની પણ ગરીમા જાળવી નથી.
સંભવિત અંતિમ જનરલ બોર્ડમાં અમૃત યોજનાના પ્રશ્ન સહિત ૧૪ જેટલા કોર્પોરેટર દ્વારા 3૧ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતાં. જેમાં ભાજપના ૧૧ કોર્પોરેટર અને કોંગ્રેસના 3 કોર્પોરેટરોનો સમાવેશ થયો હતો. પરંતુ ભાજપના એક જ કોર્પોરેટરના પ્રશ્નમાં આખુ જનરલ બોર્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જનરલ બોર્ડમાં બે શોક સભા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતાં અને સભ્યો દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
જનરલ બોર્ડ જાણે સ્ક્રીપ્ટ મુજબ ચાલતુ હોય તેવુ ચિત્ર પણ ઉપસી આવ્યું હતું. પ્રજાએ પોતાના પ્રશ્નોને વાજા આપવા ચૂંટીને મોકલાયેલા કોર્પોરેટરોએ થોડીવાર માટે હો..હા..ગોકીરો કર્યો હતો અને વાતાવરણ ઉગ્ર બનાવી બાદમાં શાંત પાડી દીધુ હતું.
રાજકોટમાં પાંચ હજાર કરોડના વિકાસ કામો થયા હોવાનો સ્ટે.ચેરમેનનો દાવો
જનરલ બોર્ડમાં ઉપસ્થિત સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે દાવો કર્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસનમાં પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં દર વર્ષે એક હજાર કરોડના પ્રજાલક્ષી કામો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં પાંચ હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે અને પ્રજાને સુવિધાઓ મળી રહી છે. ગુજરાત સરકારનું બજેટ પણ અગાઉ પાંચ હજાર કરોડ હતું નહી અને હાલ એકલા રાજકોટ મહાનગરપાલિકાનું પાંચ હજાર કરોડ સુધી પહોંચી ગયું છે જે ભારતીય જનતા પાર્ટીની સરકારની એક સિધ્ધિ સમાન ગણવામાં આવે છે. રાજકોટમાં ભાજપના ૬૮ કોર્પોરેટરો પર પ્રજાએ જે વિશ્વાસ મૂકયો હતો. તે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખ્યો છે અને પ્રજાના પ્રશ્નોને સમયાંતરે વાંચા આપવામાં આવી છે.
પ્રજાકીય પ્રશ્નો અને વિકાસ કામો માટે વિપક્ષ તેમજ અધિકારીઓનો પણ સહયોગ મળ્યો : મેયર
સંભવિત અંતિમ જનરલ બોર્ડમાં મેયરે તમામનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસનકાળમાં નવા આરોગ્યકેન્દ્ર બન્યાં, સરકારી શાળાઓનું નિર્માણ થયું. રોડ-રસ્તાઓનું નિર્માણ થયું. પ્રજાને પોતાની જરુરીયાત મુજબની સુવિધાઓ મળી. આ તમામ કામગીરીમાં વિપક્ષનો પણ સાથ સહકાર મળ્યો છે. તેમજ મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર મળ્યો છે. આગામી દિવસોમાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી વિકાસ કાર્યો અવિરત પણે શરૂ રાખવામાં આવશે. આ વિકાસ યાત્રાને ભારતીય જનતા પાર્ટી શરૂ રાખી પ્રજાને સુવિધાઓ પૂરી પાડતી રહેશે.
વેરા માફી, ફડાકા કાંડ, ટીપી સહિતના મુદ્દાઓ વિસરાયા
રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી તળીયા ઝાટક થઇ ચૂકી છે. જે કારણે ૨૦૦ કરોડની લોનની દરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરને તાજેતરમાં જ ફડાકા ઝીંકવામાં આવ્યા હતાં. ટીપી સહિતના પ્રશ્નો અંગે વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરવામાં આવશે અને આ પ્રશ્ન ઉઠાવી શાસકોને ઘેરવામાં આવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા હતાં. પરંતુ વિપક્ષ એકદમ ટાઢોબોળ જોવા મળ્યો હતો. ઉપરોકત એકપણ પ્રશ્ન જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો નહી.
શાસકોનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે વિપક્ષનો અવાજ દબાવી દેવાયો : વિપક્ષી નેતા
મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ અંતિમ જનરલ બોર્ડમાં અવસર ન મળતાં વિપક્ષ શાસકો પર આક્ષેપ કરતાં જણાવયું હતું કે શાસકો સત્તાના મદમાં ભાન ભૂલી ગયા છે. મનપાનું આ સંભવિત અંતિમ જનરલ બોર્ડ છે. જેમાં શાસક અને વિપક્ષે પાંચ વર્ષના લેખા-જોખા રજૂ કરવાના હોય છે. પરંતુ શાસકો દ્વારા વિપક્ષને આ અવસર આપવામાં આવ્યો નથી. શાસકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. તેઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના ચાર કોર્પોરેટરો હોવા છતાં પણ એક પણ કોર્પોરેટરને આ અવસર આપવામાં આવ્યો નથી. અમને પોતાના અનુભવો શેર કરવા દીધા નથી. પ્રજાએ હવે જાગવાની જરૂર છે અને સત્તાના મદમાં રહેલા ભાજપના શાસકોને રસ્તો દેખાડવાની જરૂર છે.
મંજૂર કરાયેલ દરખાસ્તો
| ૦૧) | વોર્ડ નં.૧૨માં ટી.પી.સ્કીમ નં.૨૭(મવડી)માં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભારત રત્ન તેમજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન “અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ” નામકરણ ઠરાવ |
| ૦૨) | વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં સાધુવાસવાણી કુંજ રોડ, “શિવાલય ચોક” પાસે આવેલ ગાર્ડનને “શહિદ હેમુ કાલાણી ગાર્ડન” નામકરણ કરવા |
| ૦૩) | શહેરના વોર્ડ.નં.૧૦માં આવેલ યુનિવર્સિટી રોડ, શિવશક્તિ કોલોની સામે, આવેલ ગાર્ડનને “વિર શહિદ હમીરસિંહજી ગોહિલ ગાર્ડન” નામકરણ |
| ૦૪) | રાજકોટ રેલ્વે જંકશન સામે રસ્તા પૈકીની જમીન ઉપરથી દૂર કરાવેલ દુકાનોના માલિકોને વૈકલ્પિક જમીન ફાળવવા |
| ૦૫) | શહેરના વોર્ડ નં.૧૨માં વેસ્ટઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના (મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણ આપી |
| ૦૬) | રૂ.૨૦૦ કરોડ સુધીની લોન અથવા ઓવર ડ્રાફટ, લાઇન ઓફ ક્રેડીટ કે અન્ય ફેસીલીટીથી નાણા લેવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.૪૭૭ પરત્વેનો નિર્ણય |
| ૦૭) | રાજકોટ મહાનગરપાલિકાની “સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારને તેની નોકરી દરમ્યાન સફાઈ કામગીરીના કારણે કોઈ રોગના ભોગ બને અને કાયમી અશક્ત જાહેર થાય” અથવા “સફાઈ કામદારનું નોકરી દરમ્યાન અવસાન થાય” અથવા “સફાઈ કામદાર લાપતા હોય” તેવા સંજોગોમાં તેના કોઈ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગેના નિયમોમાં સુધારો કરવો |
| ૦૮) | શહેરના વોર્ડ.નં.૧૦માં આવેલ એસ.એન.કે. સ્કુલ પાસેના ચોકથી “જે.કે.ચોક” થી જુના યુનિવર્સિટી રોડ, (નીલ સિટી કલબ બાજુના માર્ગ)ને “શ્રી ઉમીયાજી માર્ગ” નામકરણ |
| ૦૯) | શહેરના વોર્ડ.નં.૦૫માં આવેલ રણછોડનગર શેરી નં.૧૦ને “સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી માર્ગ” નામકરણ |
| ૧૦) | શહેરના વોર્ડ.નં.૪માં આવેલ લાલપરી મેલડી માતાજી પાસે તેમજ શ્રી ખોડલ ધામ રેસીડેન્સી તથા ગ્રીન સિટી સોસાયટી મેઇન રોડ પાસે આવેલ ચોકને ”સરદાર પટેલ ચોક” નામકરણ |
| ૧૧) | શહેરના વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર આવેલ હુડકો ફાયર સ્ટેશનવાળા ચોકને “જયંતભાઈ ઠાકર ચોક” નામકરણ |
| ૧૨) | શહેરના વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર આવેલ લેઉવા પટેલ કન્યા છાત્રાલય મેઇન ગેઇટ સામેના રોડ, ખોડીયાર નગર શાક માર્કેટ સુધીના માર્ગને “આઈશ્રી સોનલમાં માર્ગ” નામકરણ |
ફલાવર બેડ અંગે જીડીસીઆરના નિયમનો ઉલાળ્યો થતો હોવાના આક્ષેપ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ બિલ્ડર એસો.સીએશન પર આક્ષેપ કરતાં રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે ફલાવર બેડ અંગે સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે. ટોટલ બાંધકામ કરતાં વધારાનું બાંધકામ હોય તેમાં બે ગણા પૈસા વસુલી મંજૂરી આપવામાં આવે છે. છતાં પણ આ નિયમનો ઉલાળ્યો રાજકોટ મહાનગરપાલિકામાં થઇ રહ્યો છે. જીડીસીઆરના નિયમ મુજબ ૨૧ દિવસમાં મંજૂરી મેળવી પૈસા ભરવાના હોય છે. પરંતુ તે નિયમની અમલવારી થતી નથી. ભાજપના અગ્રણી અને એક અધિકારી બિલ્ડરો સાથે સેટીંગ કરી પૈસા ન ભરવા પડે તેવી પેરવી કરી રહ્યાં છે. આ ભ્રષ્ટાચાર આગામી દિવસોમાં પૂરાવા સાથે ખુલ્લો પાડવામાં આવશે.


