સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
ડ્રાઈવરની સમયસુચકતાથી મોટી જાનહાની ટળી: મુસાફરોને ઉતારી મૂકતા તમામનો આબાદ બચાવ
અગ્ર ગુજરાત, સુરત
સુરત શહેરના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં મેઈન રોડ પર ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે 51 મુસાફરોથી ભરેલી એક એસટી બસ અચાનક ચાલતી ગાડીએ સળગી ઉઠી હતી. કાપોદ્રાના જલારામ ફર્નિચર પાસે બનેલી આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં જ આખી બસ લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી.
સુરતથી તરસાડી જઈ રહેલી આ બસ જ્યારે કાપોદ્રા મેઈન રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવરે સમય વેડફ્યા વગર બસ રસ્તાની વચ્ચે જ ઊભી રાખી દીધી હતી. અંદર સવાર 51 મુસાફરો કંઈ સમજે તે પહેલા ડ્રાઈવરે તમામને તાત્કાલિક નીચે ઉતરી જવા જણાવ્યું હતું. મુસાફરો નીચે ઉતર્યાના થોડી જ સેકન્ડોમાં આગે આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી.
જ્યાં બસ સળગી રહી હતી તેની બિલકુલ નજીક જ પેટ્રોલ પંપ આવેલો હતો. પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ હોવાથી અને રોડ પર ટ્રાફિક જામ હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ત્યારે ટ્રાફિક એટલો વધુ હતો કે ફાયરની 3 ગાડીઓએ જીવના જોખમે રોંગ સાઈડમાં દોડવું પડ્યું હતું. જો આગ પેટ્રોલ પંપ સુધી પ્રસરી હોત તો આખું વિસ્તાર ધણધણી ઉઠત.
નજીકમાં જ કાપોદ્રા ફાયર સ્ટેશન આવેલું હોવા છતાં, રસ્તા પર વાહનોની લાંબી કતારોને કારણે ફાયરના જવાનોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. અંતે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી.
ફાયર ઓફિસર કિરણ પટેલે જણાવ્યું હતું કે, ડ્રાઈવરે જણાવ્યું હતું કે ડ્રાઈવર સાઈડથી આગ શરૂ થઈ હતી. તેને તરત જ બસ ઉભી રાખી દીધી. મુસાફરોને બસમાંથી નીચે ઉતરી દીધા હતા. ભગવાનની દયાથી કોઈને ઈજા થઈ નથી. ડ્રાઇવરની બાજુમાંથી સ્પાર્ક થઈને આગ લાગી હોવાની શક્યતા છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.


