ધોરાજી પંથકના ખેડૂતોમાં વીજળી, પાણી, ટેકાના ભાવ સહિતના પ્રશ્ને ભારે નારાજગી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ટાણે જ જગતાત આકરા પાણીએ થતા રાજકીય પક્ષો રીઝવવા ઊંધા માથે
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જાય રહ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં માત્ર રાજકીય સમીકરણો જ નહીં, પરંતુ ખેડૂતોના પ્રશ્નો પણ કેન્દ્રસ્થાને આવી ગયા છે.
ધોરાજી તાલુકાના ખેડૂત જયેશભાઈ લાખાણી પારસભાઈ સાવલિયા દિનેશભાઈ સાવલિયા વિગેરે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે ધોરાજી પંથકના ખેડૂતો પોતાની વ્યથા ખુલીને વ્યક્ત કરી રહ્યા છે… ખેડૂતો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી સતત વધી રહી છે… જેના કારણે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે… બીજી તરફ બેરોજગારીનો પ્રશ્ન પણ ગામડાઓમાં ગંભીર બની રહ્યો છે… જેના કારણે યુવાનો સાથે સાથે ખેડૂતો પણ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ એવી વીજળી પણ તેમને નિયમિત મળતી નથી… ખેતરમાં સિંચાઈ માટે જરૂરી સમયે વીજ પુરવઠો ન મળતા પાકને નુકસાન થઈ રહ્યું છે. ઘણીવાર અડધા રાત્રે કે અનિયમિત સમય પર વીજળી મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ સાથે જ ખેડૂતોનો મોટો આક્ષેપ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ તેમની ખેતીની ઉપજને યોગ્ય કિંમત મળતી નથી. બજારમાં પાક વેચવા જતા ખેડૂતોને ઓછી કિંમત મળતા તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
ખેડૂતોમાં ખાસ કરીને બિયારણ અને ખાતરના વધતા ભાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે… વર્ષ બાદ વર્ષ બિયારણ, ખાતર અને કૃષિ ખર્ચમાં વધારો થતો જાય છે… પરંતુ તેના સામે ખેડૂતોની આવકમાં કોઈ ખાસ વધારો જોવા મળતો નથી. જેના કારણે ખેતી હવે ખર્ચાળ વ્યવસાય બની રહી છે.
આ તમામ મુદ્દાઓને લઈને ખેડૂતોમાં સરકાર પ્રત્યે નારાજગી અને રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે ચૂંટણી સમયે જ તેમના પ્રશ્નો યાદ કરવામાં આવે છે. પરંતુ પછી સમસ્યાઓ યથાવત જ રહે છે.
હવે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોનો આ રોષ શું રંગ લાવશે અને શું આ મુદ્દાઓ મતદાન પર અસર કરશે. તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે તેમ ધોરાજી તાલુકાના ખેડૂત જયેશભાઈ લાખાણી પારસભાઈ સાવલિયા દિનેશભાઈ સાવલિયા વિગેરે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવેલ હતી.


