જય રણછોડ, માખણ ચોરના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠશે
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
સવારે ૮ વાગ્યાથી ઐતિહાસિક રથયાત્રાનો મંગલ પ્રારંભ : શહેરના મુખ્યમાર્ગો પર ફરશે યાત્રા : ૨૬ કિ.મી.ના લાંબા રૂટ પર ભગવાન પર કરાશે પુરૂષવર્ષા : ૨૫૦ કિલો મગ અને ૧૫૦ કિલો ચણાના પ્રસાદનું વિતરણ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા 19 વર્ષથી અષાઢી બીજના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવાની પરંપરા રહી છે. વર્ષમાં માત્ર એક જ વાર જગન્નાથ જ્યારે ભક્તોને દર્શન આપવા અને નગરચર્ચા કરવા માટે નિજ મંદિરેથી બહાર નીકળે છે, ત્યારે સમગ્ર રાજકોટ જાણે ભક્તિના રંગે રંગાઈ જાય છે. આવતીકાલે 16 જુલાઈ ગુરુવારના રોજ અષાઢી બીજના પાવન અવસરે સવારે 8 વાગ્યે જગન્નાથ મંદિરેથી આ ઐતિહાસિક રથયાત્રાનો મંગલ પ્રારંભ થશે. રથયાત્રાની પવિત્ર પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવશે. અત્યારથી વિવિધ સંસ્થાઓ અને મંડળોમાં ભારે ઉત્સાહ અને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ભક્તો માટે અનેક વિશેષ આકર્ષણો કેન્દ્રસ્થાને રહેવાના છે, જે નગરજનોને મંત્રમુગ્ધ કરશે. ખાસ કરીને વૃંદાવનની પ્રખ્યાત રાસમંડળી, ભયાવહ અને ભક્તિસભર પ્રસ્તુતિ કરતી અઘોરી મંડળી તેમજ ઉજ્જૈનથી વિશેષ રૂપે પધારનારા સૌથી ઊંચા વિરાટ મહાકાળી માતાજી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ કલાકારો રથયાત્રાના નિર્ધારિત રૂટ પર અલગ-અલગ મુખ્ય ચોક અને ચાર રસ્તાઓ પર પોતાની અદ્ભૂત કલા પ્રદર્શિત કરી નગરજનોને ભક્તિસભર મનોરંજન પૂરું પાડશે. સમગ્ર માહોલ ‘જય રણછોડ, માખણ ચોર’ ના નારાઓથી ગુંજી ઉઠશે.
ભગવાનની આ ભવ્ય રથયાત્રા સવારે 8:00 વાગ્યે નિજ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં 26 કિલોમીટર લાંબા ઐતિહાસિક રૂટ પર ભ્રમણ કરશે અને ત્યારબાદ સાંજે 7 વાગ્યે પુનઃ નિજ મંદિરે પરત ફરશે. ભગવાનના સ્વાગત માટે શહેરના વિવિધ સાર્વજનિક, ધાર્મિક, રાજકીય સંગઠનો, વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ભારે તૈયારીઓ કરવામાં આવી છે. આ 26 કિલોમીટર લાંબા રૂટ પર ઠેર-ઠેર ભગવાન પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ફુલહાર પહેરાવવામાં આવશે તેમજ ભક્તો માટે શરબત, ઠંડા પીણા અને વિવિધ પ્રસાદનું વિતરણ કરીને રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ માટે 250 કિલો ફણગાવેલા મગ અને 150 કિલો ચણાના પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
રથયાત્રાના મંગલ પ્રસ્થાન બાદ સવારે 8:30 વાગ્યાથી આ યાત્રા નિર્ધારિત રૂટ પર આગળ વધશે. જેમાં મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ અને સદરબજાર જેવા વિસ્તારો આવરી લેવાશે.
ત્યાંથી આગળ વધીને રથયાત્રા લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઈન રોડ, PDM કોલેજ, સ્વામિનારાયણ ચોક, મવડી રોડ ફાયરબ્રિગેડ, રાજનગર ચોક અને નાનામૌવા ચોકડી થઈ અંતે નિજ મંદિરે પરત ફરી પૂર્ણ થશે. આ લાંબા રૂટ પર બપોરે 1:00 વાગ્યે માંધાતાસિંહના ભવ્ય પેલેસ ખાતે રથયાત્રા વિરામ લેશે, જ્યાં તમામ ભક્તજનો પરંપરાગત પ્રસાદ ગ્રહણ કરીને થોડો સમય વિશ્રામ કરશે.
રથયાત્રામાં વાહનોની ગોઠવણી પણ ખૂબ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. રથયાત્રામાં સૌથી આગળ ધૂમ મચાવતા ડીજેના વાહનો રહેશે, જેની પાછળ મનોરંજક અને ભક્તિમય રાસમંડળીઓ ચાલશે. ત્યારબાદ મુખ્ય ત્રણ ભવ્ય રથ જોડાશે, જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપશે. આ મુખ્ય રથોની પાછળ પવિત્ર મગના પ્રસાદનો ખાસ રથ ચાલશે અને તેની પાછળ સુંદર રીતે સુશોભિત કરેલા વિવિધ ફ્લોટ્સ ધરાવતા વાહનો જોડાશે.
1800થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
બીજી તરફ રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં આ ઉત્સવ ઉજવાય તે માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. અષાઢી બીજના પર્વે નીકળનારી આ વિશાળ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે અત્યારથી જ કમર કસી લીધી છે. યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ 1800થી વધુ પોલીસ જવાનોનો કાફલો રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તમાં રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેવાનો છે.
બંદોબસ્તની વિસ્તૃત વિગતો આપતા DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઈ શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષા સંબંધી પૂર્વ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ ઉપરની દરેક નાની-મોટી હિલચાલ ઉપર નજર રાખવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થામાં 4 DCP, 6 ACP, 23 PI અને 91 PSIની સાથે 900 પોલીસ કર્મચારીઓ જોડાશે. આ ઉપરાંત હોમગાર્ડ, SRP અને TRBના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. લોકલ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન અને કોમ્બિંગની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.


