વધુ એક નેતાનો ચૂંટણી પ્રચારમાં બફાટ
ભાજપનો ભરોસો તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ બંધ થશે: ભગા બારડ
તાલાલાના ધારાસભ્યના જાહેરમંચ પરથી મતદારોને ગર્ભીત ધમકી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા મતદારોને યેનકેન પ્રકારે ધાક ધમકી આપવામાં આવી રહી છે ત્યારે વધુ એક ધારાસભ્ય દ્વારા મતદારોને ગર્ભીત ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓના બફાટ પણ સામે આવી રહ્યાં છે. ત્યારે બે ત્રણ હજારના મતદાર મંડળોમાંથી જનપ્રતિનિધીઓને ચૂંટવા યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 20 લાખ મતદારો ધરાવતા લોકસભા ક્ષેત્રોના સાંસદ મિતેષ પટેલે આણંદના આંકલાવમાં કોંગ્રેસનો ઉમેદવાર જિતશે તો એક રૂપિયાની ગ્રાન્ટ નહી આપુ તેવી જાહેર મંચ પરથી ચિમકી આપ્યા પછી ભાજપમાં ચૌમેરથી આવા ધાક ધમકીના સુર ઉઠયા છે.
ત્યારે હવે ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે સુત્રાપાડામાં પોતાના જ સમાજનો ઉલ્લેખ કરીને આ ચૂંટણીમાં ભાજપનો ભરોસો તોડયો વિશ્વાસ તોડયો તો મારા ઘરના બારણા કાયમ માટે બંધ થઈ જશે એવું કહેતા હવે સૌરાષ્ટ્રમાં પણ રાજકારણ ગરમાયું છે.વિધાનસભા 2022ની ચૂંટણીના પહેલા જ ભગાભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા.આ સિનિયર ધારાસભ્યે સુત્રાપાડાના ગોરખમઢી ગામે રખેને ભૂલ નહી ખાતા જાહેર મંચ ઉપરથી કહુ છુ કે વિશ્વાસ તોડયો,ભરસો તોડયો તો મારા ઘરના બારણા કાયમના માટે બંધ થઈ જશે.એવા લોકોને હું નહિ સ્વીકારૂ કે જેમના કારણે મે કોઈને ભરોસો આપ્યો છે.
જાહેર સભાને સંબોધતા આ શબ્દો ઉચ્ચાર્યા હતા.તેમના આ નિવેદન અગાઉની રાત્રીએ સુત્રાપાડા તાલુકાના ધામરેજ ગામમાં ભાજપની મિટિંગમાં પાણીના પ્રશ્ને સ્થાનિક મતદારોએ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં રજૂઆત કરતા ધારાસભ્ય ભગાભાઈ બારડ ઉશ્કેરાઈ ગયા હતા.આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી પણ હાજર હતા પરંતુ સ્થાનિકોએ પાણીના મુદ્દે હૈયાવરાળ ઉલેચતા સાંસદ અને ધારાસભ્યની સાથે સ્ટેજ ઉપર બેઠેલા મંત્રી સોલંકીના પુત્ર દિવ્યેશને પણ સભા છોડીને ચાલ્યા જવુ પડયુ હતુ.ભગાભાઈ બારડ માટે ભાજપના ધારાસભ્ય તરીકે પહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે.


