જેતપુરના બોરડી સમઢીયાળા ગામે કુવામાં પગ લપસતાં શ્રમિકનું પટકાવાથી મોત
પરિવારમાં શોકનો માહોલ છવાયો
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વાડીના કુવામાં કામ કરવા ઉતરી રહેલા એક યુવાનનો પગ લપસી જતાં ઊંડા કુવામાં પટકાવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ વાડિયા તાલુકાના દેવળકી ગામના વતની અને હાલ મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ૩૫ વર્ષીય શ્રમિક મહેન્દ્રભાઈ પુનાભાઈ સોંદરવા બોરડી સમઢીયાળા ગામે આવેલી ધીરુભાઈ સાવલિયાની વાડીએ કામ અર્થે ગયા હતા. ત્યાં તેઓ વાડીના આશરે ૧૧૦ ફૂટ ઊંડા, પાણી વગરના કોરા કુવામાં કામગીરી કરવા માટે નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો. પગ લપસતાં જ મહેન્દ્રભાઈ સીધા ૧૧૦ ફૂટ ઊંડા કુવાના તળિયે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ તેમજ નગરપાલિકાનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. કુવો ખૂબ જ ઊંડો હોવાના કારણે સ્થાનિકોએ ભારે જહેમત અને મહામુસીબત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક પરિણીત હતો અને તેમના પરિવારમાં બે નાની દીકરીઓ છે. આ અકાળે થયેલા અવસાનથી બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જેતપુર તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


