ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું
આણંદના અડાસ ગામ પાસે રેલવે ઓવરબ્રિજની કામગીરી સમયે બનેલી ગંભીર ઘટના: લોકોમાં ભારે રોષ
અગ્ર ગુજરાત, આણંદ
ગુજરાતમાં સરકારી કે અર્ધ-સરકારી પ્રોજેક્ટ્સમાં બની રહેલા બ્રિજની ગુણવત્તા પર ફરી એકવાર મોટું પ્રશ્નાર્થચિહ્ન લાગ્યું છે. આણંદ જિલ્લાના અડાસ ગામે વડોદ અને અડાસ સ્ટેશનની વચ્ચે (ફાટક નંબર 250) બની રહેલા રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ શનિવારે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. વડોદરાના ગતિશક્તિ યુનિટ દ્વારા નિર્માણ પામી રહેલા આ બ્રિજના બે મુખ્ય પિલર (થાંભલા) વચ્ચેનો આખો સ્પાન અચાનક જમીનદોસ્ત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે દુર્ઘટના સમયે નીચે કોઈ મજૂર કે વાહન હાજર નહોતું, બાકી મોટું આક્રંદ જોવા મળ્યું હોત.
આ બ્રિજનું કામ કોઈ જૂની પદ્ધતિથી નહીં, પરંતુ આધુનિક ગણાતી ‘પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી’થી થઈ રહ્યું હતું. બ્રિજના બે મુખ્ય પિલર પર જે ‘પીયર કેપ’ (પિલરનો સૌથી મજબૂત ઉપરનો ભાગ જેના પર આખો લોડ હોય છે) બનાવવામાં આવી હતી, તેના પર ગોઠવેલું ગર્ડર અચાનક તૂટી પડ્યું. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પીયર કેપ પરથી ગર્ડરનું આ રીતે નમી પડવું કે તૂટવું એ બાંધકામની ગુણવત્તામાં ગંભીર ખામી અથવા ગણતરીમાં મોટી ભૂલ હોવાનું સ્પષ્ટ સૂચવે છે.
ઘટના બાદ અડાસ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, ‘જ્યારે ગર્ડર તૂટ્યું ત્યારે એટલો ભયાનક અવાજ આવ્યો કે જાણે મોટો ભૂકંપ આવ્યો હોય. જો નીચે કોઈ ગ્રામજન હોત તો આજે લાશો ઉઠાવવાનો વારો આવ્યો હોત.’ સ્થાનિકોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, અગાઉ ગામના 2000 જેટલા લોકોએ સહી કરીને સર્વિસ રોડ આપવા માટે એજન્સીને રજૂઆત કરી હતી. પરંતુ ગતિશક્તિ યુનિટ હેઠળ કામ કરતી આ કોન્ટ્રાક્ટર એજન્સી માત્ર પોતાની મનમાની ચલાવી રહી છે, અને સ્થાનિકોની સુરક્ષાની કોઈ પરવાહ કરતી નથી.
ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ અને રેલવે તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. જોકે, સવાલ એ ઊભો થાય છે કે શું દર વખતની જેમ માત્ર ‘તપાસ સમિતિ’ રચીને મામલો થાળે પાડી દેવાશે, કે પછી લાખો લોકોના જીવ જોખમમાં મૂકનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને બેદરકાર એન્જિનિયરો સામે કોઈ કડક ફોજદારી પગલાં લેવામાં આવશે?


