જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
સોમનાથથી મોદીનો શક્તિ સંદેશ : પોખરણથી પરમાણુ ગર્જના, સંસ્કૃતિથી આત્મગૌરવ અને અંતે ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું પ્રભાસ પાટણ
સોમનાથ અમૃતપર્વમાં વડાપ્રધાનનો જોરદાર સંદેશ, દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકશે નહીં
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
પ્રભાસ પાટણના કિનારે અરબી સમુદ્રના મોજાં ગાજી રહ્યા હતા, ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યો હતો, આકાશમાં વાયુસેનાની સૂર્યકિરણ ટીમ કરતબ દેખાડી રહી હતી અને હજારો લોકોની હાજરી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથના પવિત્ર ધામમાંથી ભારતની આધ્યાત્મિકતા, સાંસ્કૃતિક ગૌરવ અને વૈશ્વિક શક્તિનો એક સાથે ઉલ્લેખ કરી દેશને શક્તિનો સંદેશ આપ્યો હતો.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન માત્ર ધાર્મિક કાર્યક્રમ ન રહ્યું, પરંતુ તેમાં ભારતના ઇતિહાસ, આત્મવિશ્વાસ, પરમાણુ શક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવનો સંગમ જોવા મળ્યો હતો. પોતાના ભાષણ દરમિયાન મોદીએ વારંવાર જય સોમનાથ અને હર હર મહાદેવ ના નાદ સાથે જનમેદનીમાં જોરદાર ઉર્જા ભરી દીધી હતી.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત જય સોમનાથના ગર્જનાથી કરી હતી. તેમણે કહ્યું કે આજે સમગ્ર વાતાવરણમાં એક અનોખી દિવ્યતા અનુભવાઈ રહી છે. વૈદિક મંત્રોચ્ચાર, શિવપંચક્ષરીના પાઠ, સમુદ્રના મોજાં અને ભક્તોની શ્રદ્ધા મળીને જાણે સમગ્ર બ્રહ્માંડ એકસાથે ‘જય સોમનાથ’ બોલી રહ્યું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
મોદીએ કહ્યું કે, દાદા સોમનાથના ભક્ત તરીકે મેં અનેક વખત અહીં આવી માથું ટેકાવ્યું છે, પરંતુ આજે અહીં ઉભો છું ત્યારે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ હજારો વર્ષ લાંબી આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કરી રહ્યો છું.
75 વર્ષના અમૃતપર્વે ઐતિહાસિક કુંભાભિષેક
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના હસ્તે સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. દેશના 11 પવિત્ર તીર્થસ્થળોના જળને એક વિશાળ કળશમાં એકત્ર કરી 90 મીટર ઊંચી ક્રેન મારફતે મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના શિખર પર જળાભિષેક અને ધ્વજારોહણ કરાયું હતું.
આ પ્રસંગે હજારો ભક્તોએ “હર હર મહાદેવ”ના ગગનભેદી નાદ સાથે સમગ્ર સોમનાથને ભક્તિમય બનાવી દીધું હતું.
મોદીના ભાષણનો સૌથી ચર્ચાસ્પદ ભાગ રહ્યો પોખરણ પરમાણુ પરીક્ષણનો ઉલ્લેખ. તેમણે યાદ અપાવ્યું કે આજના જ દિવસે, 11 મે 1998એ ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની શક્તિ બતાવી હતી.
મોદીએ કહ્યું, “જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા ત્યારે દુનિયાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. વૈશ્વિક શક્તિઓ ભારતને ઘેરવા માટે એક થઈ ગઈ હતી. દેશ માટે દરેક માર્ગ બંધ કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ભારત ડગમગ્યું નહીં.
તેમણે ભારપૂર્વક કહ્યું કે 13 મેના રોજ વધુ બે પરીક્ષણો થતાં દુનિયાને સમજાયું કે ભારત માત્ર સંકલ્પ લેતું નથી, પરંતુ તેને પૂરું કરવાની ક્ષમતા પણ ધરાવે છે. મોદીએ પોખરણ પરીક્ષણોને ઓપરેશન શક્તિ તરીકે યાદ કરતાં કહ્યું કે ભારત માટે શક્તિ અને આધ્યાત્મિકતા બંને સાથે ચાલે છે. શિવ અને શક્તિ આપણા અસ્તિત્વના આધાર છે. ચંદ્રયાનના લેન્ડિંગ પોઇન્ટને પણ ‘શિવ શક્તિ’ નામ આપવામાં આવ્યું, કારણ કે ભારતની વૈજ્ઞાનિક પ્રગતિ પણ આધ્યાત્મિક મૂળ સાથે જોડાયેલી છે,” એમ તેમણે ઉમેર્યું.
“જેના નામમાં સોમ હોય તેને કોણ નષ્ટ કરી શકે?
ભાષણ દરમિયાન મોદીએ એક શક્તિશાળી ઉલ્લેખ કરતાં કહ્યું કે સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની અવિનાશી આત્માનો પ્રતિક છે.
તેમણે કહ્યું, “આક્રમણકારોએ વારંવાર સોમનાથને તોડવાનો પ્રયાસ કર્યો. મંદિરની દિવાલો તૂટી, શિખરો ધરાશાયી થયા, પરંતુ સોમનાથ ક્યારેય મર્યું નહીં. કારણ કે જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ નષ્ટ કરી શકે?”
મોદીએ કહ્યું કે ભારતનો આત્મા અવિનાશી છે. શરીર ક્ષણિક હોઈ શકે, પરંતુ રાષ્ટ્રની ચેતના અને સંસ્કૃતિ શાશ્વત છે. સોમનાથ તેનું જીવંત પ્રતિક છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતા પછીના સમયનો ઉલ્લેખ કરતાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશ આઝાદ થયા બાદ સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવું એ રાષ્ટ્રીય સ્વાભિમાનનો પ્રશ્ન હતો.
મોદીએ કહ્યું, સરદાર સાહેબે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. તેમણે સોમનાથના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો. વિરોધ છતાં તેઓ અડગ રહ્યા અને મંદિરનું પુનઃનિર્માણ થયું. આ દરમિયાન મોદીએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના વિરોધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તે સમયમાં પણ કેટલાક લોકોને રાષ્ટ્રીય ગૌરવ કરતાં તુષ્ટીકરણ વધુ ગમતું હતું. તેમણે આડકતરી રીતે રામ મંદિર મુદ્દાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજે પણ કેટલીક શક્તિઓ સાંસ્કૃતિક ગૌરવના કાર્યોનો વિરોધ કરે છે.
“દાયકાઓ સુધી તીર્થસ્થળોના મહત્વને સમજ્યા નહીં
મોદીએ કહ્યું કે ભારતના સાંસ્કૃતિક યાત્રાધામો હજારો વર્ષોથી દેશની ઓળખ રહ્યા છે, પરંતુ દાયકાઓ સુધી તેમના મહત્વને યોગ્ય રીતે સમજવામાં આવ્યું નહોતું. તેમણે કહ્યું, વિદેશી હુમલાખોરોએ આપણા તીર્થસ્થળોને તોડ્યા, પરંતુ લોકો ફરી ઉભા થયા અને તેને પુનઃસ્થાપિત કર્યા. આ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની સંસ્કૃતિની જીવંત શક્તિ છે. તેમણે કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ, ઓમકારેશ્વર અને અયોધ્યાના વિકાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લા 10થી 12 વર્ષમાં દેશે પોતાની સાંસ્કૃતિક ઓળખને ફરી ગૌરવ સાથે જીવંત બનાવી છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે આજે તેઓ માત્ર 75 વર્ષની ઉજવણી નથી જોઈ રહ્યા, પરંતુ વિનાશ વચ્ચે સર્જન કરવાની ભારતની ક્ષમતા જોઈ રહ્યા છે. અહીં હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. અહીં હું હજારો વર્ષોથી વહેતી આધ્યાત્મિક ચેતના જોઈ રહ્યો છું. ભારતનો એવો અવિનાશી સાર જોઈ રહ્યો છું જેને સદીઓના હુમલાઓ પણ મિટાવી શક્યા નથી, એમ તેમણે જણાવ્યું હતું.
સોમનાથના આ ભવ્ય કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ ટીમે પણ શાનદાર એર-શો રજૂ કર્યો હતો. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરેલા હોક એમકે-132 વિમાનો માત્ર 18 મિનિટમાં સોમનાથ પહોંચ્યા હતા. પાઈલટ્સે આકાશમાં વિવિધ ફોર્મેશન અને હવાઈ દાવપેચો કરીને લોકોમાં દેશભક્તિનો જુસ્સો ભરી દીધો હતો. એર-શો દરમિયાન હજારો લોકો મોબાઈલમાં દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ સોમનાથ અમૃતપર્વ નિમિત્તે 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ જાહેર કર્યો હતો. આ ઉપરાંત તેમણે સોમનાથ ટ્રસ્ટના મ્યુઝિયમની મુલાકાત લઈ પ્રાચીન અવશેષો અને ઐતિહાસિક દસ્તાવેજોનું નિરીક્ષણ કર્યું હતું.
સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી વડોદરા જવા રવાના થયા હતા, જ્યાં તેઓ ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરશે. પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી જીત બાદ મોદીની ગુજરાતમાં આ પ્રથમ મુલાકાત હોવાથી વડોદરામાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શહેરમાં બંગાળ થીમ પર સ્વાગત ગેટ, પોસ્ટર અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે.
લગભગ સમગ્ર સંબોધન દરમિયાન આધ્યાત્મિકતા, રાષ્ટ્રગૌરવ અને શક્તિની વાતો કર્યા બાદ વડાપ્રધાન મોદીએ અંતે ફરી જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે ભાષણ પૂર્ણ કર્યું હતું. સમુદ્રના મોજાં, મંદિરના ઘંટનાદ અને હજારો લોકોના જયઘોષ વચ્ચે સોમનાથનો આ અમૃતપર્વ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય શક્તિના મહાસંગમ તરીકે યાદગાર બની રહ્યો હતો.
પ્રથમ જ વાર સોમનાથ શિખરે 11 તીર્થોના જળથી કુંભાભિષેક
પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામે આજે ‘સોમનાથ અમૃત પર્વ-2026’ અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણનું સર્જન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરના શિખર પર પ્રથમ વખત 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવતા સમગ્ર પરિસર ભક્તિભાવ, ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીઓથી ઝળહળી ઉઠ્યું હતું.
સવારે વડાપ્રધાન મોદી જામનગરથી હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા હતા. હેલિપેડ પરથી તેઓ વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શોમાં જોડાયા હતા, જ્યાં રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોએ ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારબાદ વડાપ્રધાને મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના કરી દેશની સમૃદ્ધિ, સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમનો સૌથી વિશેષ અને ઐતિહાસિક પ્રસંગ મંદિરના શિખર પર યોજાયેલ કુંભાભિષેક રહ્યો હતો. વિશાળ કુંભમાં દેશના 11 પવિત્ર તીર્થોના જળને એકત્રિત કરી ક્રેનની મદદથી આશરે 90 મીટર ઊંચાઈએ મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બ્રાહ્મણોના સાનિધ્યમાં આ જળથી શિખર પર અભિષેક કરવામાં આવ્યો હતો.
સોમનાથ મંદિરના ઈતિહાસમાં આ પ્રકારનો શિખર કુંભાભિષેક પ્રથમ વખત યોજાયો હોવાનું તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતના અનેક મંદિરોમાં દર 10થી 12 વર્ષે શિખર અભિષેક અને શુદ્ધિકરણની પરંપરા જોવા મળે છે, પરંતુ સોમનાથમાં આ વિધિ પહેલીવાર યોજાતા તેનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહ્યું છે.
મંદિર પરિસરમાં માત્ર ધાર્મિક જ નહીં પરંતુ દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો. સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશમાં દિલધડક એર શો રજૂ કરવામાં આવ્યો હતો. વિમાનોની કલાબાજી સાથે આકાશમાં તિરંગાના રંગો છવાઈ જતા હજારો લોકોમાં દેશપ્રેમની લાગણી વધુ પ્રબળ બની હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હર હર મહાદેવ અને ભારત માતા કી જયના ગુંજતા નારા વાતાવરણને વધુ ઉર્જાવાન બનાવી રહ્યા હતા.
બપોરે સદભાવના ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીએ વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટ થઈ વડોદરા જવા રવાના થયા હતા.
આજનો દિવસ સોમનાથના ઈતિહાસમાં માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ આધ્યાત્મિકતા, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ગૌરવના અનોખા સંગમ તરીકે યાદગાર બની ગયો હતો.
સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સુખાકારી અને જનકલ્યાણ માટે કરી પ્રાર્થના
‘સોમનાથ અમૃત પર્વ-2026’ અંતર્ગત ગીર સોમનાથ પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ભાવપૂર્વક પ્રાર્થના અર્પણ કરી હતી. દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ નમાવી તેમણે સમગ્ર ગુજરાતના નાગરિકોના સુખ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીના આગમન સમયે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. સોમનાથ ટ્રસ્ટના આગેવાનો તથા અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. દર્શન-પૂજન બાદ મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે યોજાનાર રોડ શો, જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ પાસેથી સમીક્ષા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક વિધિઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ મુખ્યમંત્રીએ રસપૂર્વક માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ‘સોમનાથ અમૃત પર્વ’ મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસને લઈ સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વડાપ્રધાનના રોડ શો તેમજ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં સહભાગી બન્યા હતા. સોમનાથમાં યોજાયેલા આ કાર્યક્રમોએ ધાર્મિક આસ્થા સાથે રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક એકતાનો પણ સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તો અને સ્થાનિકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
સોમનાથ મહાદેવના દર્શને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ધન્ય બન્યા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર ધામે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પહોંચીને વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું. ભગવાન સોમનાથ મહાદેવના પાવન દર્શન કરી તેમણે આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી. મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પરંપરાગત રીતિ-રિવાજ મુજબ પૂજા કરવામાં આવી હતી, જેમાં તેમણે દેશ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના અર્પી હતી.
સોમનાથ મંદિર ખાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રીનું મંદિર ટ્રસ્ટના આગેવાનો તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. પૂજન દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભગવાન મહાદેવના ચરણોમાં માથું ટેકવી હર્ષભાઈ સંઘવીએ રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણની કામના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવ માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું પ્રતિક છે. અહીં આવીને એક અલગ જ પ્રકારની શાંતિ અને ઉર્જાની અનુભૂતિ થાય છે. તેમણે સર્વે જીવમાત્રના આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ માટે મહાદેવને પ્રાર્થના અર્પણ કરી હતી.
મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની મુલાકાતને પગલે સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો.
સોમનાથ અમૃત પર્વમાં મહાનુભાવોની ઉપસ્થિતિએ વધારી ભક્તિમય ભવ્યતા
વેરાવળ ખાતે યોજાયેલા ‘સોમનાથ અમૃત પર્વ-2026’ મહોત્સવમાં રાજ્યના અગ્રણીઓ અને હજારો ભાવિકોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઐતિહાસિક બનાવી દીધું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના પાવન ધામે આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ રાજ્ય સરકારના અગ્રસચિવ અશ્વિનીકુમાર સહિતના શીર્ષ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહોત્સવ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, પૂજન-અર્ચન અને ધાર્મિક વિધિઓથી સમગ્ર સોમનાથ ધામ ગુંજી ઉઠ્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી.


