સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
યાત્રાના પ્રથમ દિવસે ભક્તોએ મહાદેવના દર્શન, જલાભિષેક, આરતી અને 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો માણ્યો
સોમનાથ ટ્રસ્ટ દ્વારા લઘુયજ્ઞ કીટ અને સોમગંગા નિર્માલ્ય જળ અર્પણ કરી વિશેષ સન્માન
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
આટલી વિશાળ સંખ્યામાં પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ LED સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.
ભક્તોના આ આધ્યાત્મિક પ્રવાસને વધુ પવિત્ર અને યાદગાર બનાવવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌને પ્રસાદ, લઘુયજ્ઞ કીટ અને સોમગંગા નિર્માલ્ય જળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રિ-દિવસીય પ્રવાસ દરમિયાન ઉત્તરપ્રદેશના ભક્તો ભાલકા તીર્થ, ભીડભંજન મહાદેવ, બાણગંગા, રામ મંદિર, ગોલોકધામ તીર્થ, પ્રોમોનેડ વોક વે અને ત્રિવેણી સંગમ સહિતના પવિત્ર સ્થાનો પર દર્શનાર્થે જશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ સ્થાનો પર ભક્તોને ઉત્તમ અને પ્રેમપૂર્ણ આતિથ્ય પ્રદાન કરવા માટેની તમામ આનુસાંગિક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


