સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત
યોગેશના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા, પત્ની હાલ ગર્ભવતી
કોઇપણ સેફટી વગર અંદર ઉતારતા મોત મળ્યું
અગ્ર ગુજરાત, સુરત
સુરતના ખાંડ બજાર વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ (રતિહ જ્વેલર્સ) ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા હતાં.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે નિમેષ વિઠ્ઠલભાઈ સાવલિયા (સુપરવાઈઝર-ઉં.વ.26) 2.વિકાસ કુમાર સંતોષભાઈ સોનાવણે (ઉં.વ.24) 3.વિજય ભીખાભાઈ આહિરે (ઉં.વ.24) 4.યોગેશ નાનાભાઈ જાદવના મોત નીપજયા હતાં.
હાલ પરિવારમાં યોગેશના મમ્મી અને બહેન સહિત અન્ય સભ્યો કોઈ પ્રસંગના કારણે ગામડે ગયેલા છે. અહીં માત્ર સંદીપભાઈ જ હાજર છે. યોગેશના લગ્ન હજી એકાદ વર્ષ પહેલાં જ થયા હતા અને તેની પત્ની હાલ ગર્ભવતી છે.
પહેલાં યોગેશ સફાઈ માટે અંદર ઉતર્યો અને ત્યારબાદ તે અંદર ફસાયો હતો. જેને બચાવવા વિકાસ અને વિજય અંદર ગયા હતાં, ત્યારબાદ ત્રણેય ફસાયા હતાં. ત્રણેયને બચાવવા સુપરવાઈઝર નિલેશે ફાયરને કોલ કર્યો અને બચાવવા તે પણ અંદર ઉતર્યો હતો. આમ આ ઘટનાક્રમ મુજબ ચારેયના મોત થયા હતાં.
રણજીતસિંહ ખડિયા(વરાછા ઝોન ‘એ’ ડિવિઝનલ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, આજે સવારે 10:22 વાગ્યે ફાયર વિભાગને કંટ્રોલ રૂમ તરફથી એવો મેસેજ મળ્યો હતો કે કોઈ એક વ્યક્તિ પાણીના ખાડાની અંદર પડી ગયો છે. ઘટના સ્થળે આવતા જાણવા મળ્યું કે આ એક ઔદ્યોગિક એકમ છે, જે પોદ્દાર આર્કેડ સામે આવેલું છે અને તેનું નામ ‘રતિહ જ્વેલર્સ’ છે. ત્યાં તપાસ કરતા એકના બદલે ચાર વ્યક્તિ ETP પ્લાન્ટની અંદર હતા.
ત્યાં કોઈ પણ વ્યક્તિએ PPE કીટ પહેરેલી ન હતી અને આજુબાજુમાં પણ તપાસ કરતા આવી કોઈ પણ PPE ઇક્વિપમેન્ટ જાવા મળી નહોતી, જે નીતિ-નિયમો મુજબ હોવા જોઈએ. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક મોટી બેદરકારી કહી શકાય તેવું લાગે છે, બાકી તો આ બધો તપાસનો વિષય છે જે બાદમાં જ જાણવા મળશે. તપાસ થયા બાદ આ એક ઔદ્યોગિક એકમ હોવાથી તે ફાયર વિભાગના અંડરમાં ગુજરાત સરકારના નીતિ-નિયમ મુજબ આવતું નથી. આથી, આગળની જે પણ કાર્યવાહી હશે તે જે-તે વિભાગને સંલગ્ન હશે, તે ડિપાર્ટમેન્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા: ડીસીપી
આલોક કુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારના એક કારખાનામાં જ્વેલરી પ્રોસેસિંગ દરમિયાન જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે, તેને એકત્રિત કરવા માટે એક સેપ્ટિક ટેન્ક બનાવવામાં આવી છે. આ ટેન્કની સફાઈ દર બે મહિને નિયમિત રીતે કરવામાં આવતી હોય છે. આજે સવારે આ ટેન્કની સફાઈ કરવા માટે ત્રણ મજૂરો અને એક સુપરવાઈઝર અંદર ઉતર્યા હતા. ટેન્કમાં ઉતર્યા બાદ ગેસ ગૂંગળામણ અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા.
સેફ્ટીના અભાવની આશંકા
આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રોપર્ટી છે, જેથી આ સુરત મહાનગરપાલિકા હેઠળ આવતું નથી. આમાં ફેક્ટરી એક્ટના અલગ નિયમો લાગુ પડે છે. શ્રમિકોની સેફ્ટી તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું કે નહીં, તે કદાચ તપાસનો વિષય હોઈ શકે છે, પરંતુ અત્યારે આ બાબતે અમે સત્તાવાર કંઈ કહી શકીએ નહીં. શ્રમિકોની સ્થિતિ કેટલી ગંભીર છે તે તો હવે ડોક્ટરોની તપાસ બાદ જ જાણી શકાશે.
કંપનીવાળા સામે કડક કાર્યવાહી થવી જોઈએ: મૃતકનો ભાઈ
મૃતક યોગેશના ભાઈ સંદીપ જાદવે જણાવ્યું હતું કે, મને મારો ભાઈ યોગેશ જ્યાં કામ કરતો હતો તે કંપનીના શેઠ અથવા કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે, તમે આધારકાર્ડ લઈને અહીં આવી જાવ. જ્યારે હું આધારકાર્ડ લઈને અહીં આવ્યો, ત્યારે મેં જોયું તો મારો ભાઈ આ દુનિયામાં રહ્યો ન હતો. મારો ભાઈ અહીં કામ પર આવ્યો હતો. તે શેઠે મને ફોન કર્યો તે પહેલાં મેં મારા ભાઈને ફોન કર્યો હતો, પણ તેણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ કંપની તરફથી મને ફોન આવ્યો હતો. મારો ભાઈ જે કંપનીમાં કામ કરી રહ્યો હતો, તે કંપનીવાળા સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ.


