નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
વલસાડના આબ્રામાં વિસ્તારના પરિવારે કલેકટરને અરજી કરી : છેલ્લા ૨૦ વર્ષથી માનસિક-શારીરિક હેરાન કરતો હોવાની પિતાએ વ્યથા ઠાલવી
અગ્ર ગુજરાત, વલસાડ
વલસાડમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધ પિતાએ પોતાના પુત્રના અસહ્ય ત્રાસથી કંટાળીને સમગ્ર પરિવાર માટે ‘ઈચ્છા મૃત્યુ’ની પરવાનગી માંગી છે. અબ્રામા વિસ્તારમાં રહેતા આ પરિવારે કલેક્ટર સમક્ષ લેખિતમાં વિનંતી કરી છે.
વલસાડના અબ્રામા ખાતે રહેતા સુરેશભાઈ નાઈકે કલેક્ટરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમનો નાનો પુત્ર હેમંત નાઈક (ઉં.વ. 43) છેલ્લા 20 વર્ષથી દારૂના રવાડે ચઢી ગયો છે. તે દરરોજ દારૂ પીને ઘરે આવે છે અને વૃદ્ધ માતા-પિતા તેમજ જન્મથી દિવ્યાંગ બહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે, આખા ઘરને નરક બનાવી દીધું છે આનો કોઈ રસ્તો કરો. પુત્ર હેમંત ઘરમાં અપશબ્દો બોલે છે, તોડફોડ કરે છે અને અસહ્ય ગંદકી ફેલાવે છે.
સુરેશ નાઈકે જણાવ્યું કે, મારો પુત્ર ધમાલ કરે છે, અશ્લિલ શબ્દો બોલે છે, અમે 20 વર્ષથી એનો ત્રાસ સહન કરીએ છીએ. તે શાંતિથી જમવા પણ દેતો નથી. અમારે હવે જીવીને શું કરવું. જો તંત્ર બીજી કોઈ જગ્યાએ એની સગવડ કરતું હોય તો અમે રાજી છીએ, પણ એ અમારા જ ઘરમાં રહીને અમારૂ જ જમીને નરક સમાન યાતના આપે એ અમને નહીં ગમે. વૃદ્ધના જણાવ્યા અનુસાર, પુત્ર ઘરે આવે ત્યારે ઘરમાં એવી દુર્ગંધ ફેલાય છે કે પરિવારનું જીવવું મુશ્કેલ બની જાય છે.
પરિવારે આ મામલે અનેકવાર પોલીસની મદદ લીધી છે. પોલીસે પુત્ર પાસે ઘણીવાર માફી પત્ર લખાવ્યા છે અને સમાજના આગેવાનોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ સમજાવટ કે પોલીસ કાર્યવાહીની તેના પર કોઈ અસર થઈ નથી. જેલમાંથી છૂટ્યા કે પોલીસ સ્ટેશનથી આવ્યા બાદ તે બમણા વેગથી પરિવાર પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દે છે. આખરે, કોઈ ઉપાય ન રહેતા લાચાર પિતાએ કલેક્ટર સમક્ષ આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે.
પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી
જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, આર્થિક રીતે તેઓને કોઈ મુશ્કેલી નથી. આ વૃદ્ધ રેલવેના કર્મચારી હતા. હાલ તેઓને પેન્શન મળી રહ્યું છે. તેઓનો નાનો પુત્ર હેરાન કરે છે. પુત્રથી કંટાળીને ઈચ્છામૃત્યુની માંગ કરતા તેઓને હાલ સમજાવવામાં આવ્યાં છે. ભારતના સંવિધાનમાં આવી રીતે ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઈ નથી, તેથી અમે તેમને સમજાવ્યા છે. મેં વલસાડના પ્રાંત અધિકારીને સૂચના આપી છે કે તેઓ જાતે વૃદ્ધના ઘરે જાય અને પરિસ્થિતિની સમીક્ષા કરે. પ્રથમ તબક્કે પુત્રને બોલાવીને સમજાવવામાં આવશે. જો સમજાવટથી કામ નહીં ચાલે, તો ‘સીનિયર સિટીઝન એક્ટ’ હેઠળ પુત્ર સામે કડક પગલાં લેવાશે. ઉપરાંત, CRPC ની કલમ 106 થી 110 હેઠળ તેને પાબંદ કરવામાં આવશે અને જરૂર જણાયે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.


