દાહોદ નજીક કન્ટેનર પાછળ કાર અથડાતા ત્રણ માસૂમ બાળકોના મોત
મધ્યપ્રદેશનો પરિવાર પાવાગઢ દર્શન કરી પરત ફરતા નડયો અકસ્માત : ૯ લોકો ઇજાગ્રસ્ત
અગ્ર ગુજરાત, દાહોદ
દાહોદના ભીટોડી પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં ઊભેલા કન્ટેનર પાછળ ફોર વ્હીલ ગાડી અથડાતા 3 નિર્દોષ બાળકોના કરુણ મોત નીપજ્યા છે.જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મધ્યપ્રદેશના કૈડાવત ગામનો એક પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.
અકસ્માતની જાણ થતા જ 108ની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. દર્શન કરીને પરત ફરતા પરિવારમાં આ કાળમુખા અકસ્માતને પગલે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
માર્ગ પર ઉભેલા એક કન્ટેનરની પાછળ એક ફોર વ્હીલ કાર ધડાકાભેર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર 3 માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અકસ્માતમાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ બાળકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


