મહીસાગર જિલ્લામાં ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ભગીરથ ઝુંબેશ સંપન્ન
મહીસાગર જિલ્લામાં ૨૦ મેગા કેમ્પો થકી ૬૦,૦૦૦ નાગરિકોનો સીધો સંપર્ક
મહીસાગર જિલ્લાના ૪ તાલુકાના ૧૮૯ આદિજાતિ ગામોમાં ૧૦૦% ‘સેચ્યુરેશન’ ના લક્ષ્યાંક સાથે સરકારી યોજનાઓનો વ્યાપ વધારાયો
અંદાજિત ૧,૨૦૦ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાઓનો લાભ એનાયત કરવામાં આવ્યો – ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર
આસીફ લુણાવાડા
અગ્ર ગુજરાત,મહીસાગર
ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા દેશના આદિવાસી ભાઈ-બહેનોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલ ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ મહીસાગર જિલ્લામાં સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ગત તા. ૧૯ મે થી ૨૫ મે સુધી ‘જનભાગીદારી – સબસે દૂર, સબસે પહેલે’ ના સંકલ્પ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના ગામડાઓ અને નાગરિકો સુધી પહોંચવા માટે એક ભગીરથ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થે આ ઝુંબેશની સઘન કામગીરી અને સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈક્રો-પ્લાનિંગ કરીને સંતરામપુર, કડાણા, ખાનપુર અને લુણાવાડા એમ કુલ *૪ તાલુકાઓના ૧૮૯ આદિજાતિ ગામોને* આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. વહીવટી સરળતા અને સુદ્રઢ આયોજન માટે આ ગામોને ૨૦ ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ઉખરેલી, ગોલણપુર, હીરાપુર સહિતના સ્થળોએ ૨૦ જેટલા મેગા કેમ્પોનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશ થકી વહીવટી તંત્ર અંદાજિત ૬૦,૦૦૦ જેટલા લોકો સુધી રૂબરૂ પહોંચવામાં સફળ રહ્યું છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ કલ્યાણકારી સરકારી યોજનાઓના ૧૦૦% લાભાર્થીઓ સુધી પહોંચી ‘સેચ્યુરેશન’ (Saturation) નો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો હતો. આયોજિત કેમ્પોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરી TB અને સિકલસેલ (Sickle Cell) નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તદુપરાંત, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), KCC વન ધન યોજના અને નિરાધાર વિધવા સહાય જેવી મહત્વપૂર્ણ યોજનાઓની કામગીરી લોકોના ઘરઆંગણે જ કરવામાં આવી હતી. આ ઝુંબેશ માત્ર કાગળ પૂરતી સીમિત ન રહેતા, નક્કર પરિણામ સ્વરૂપે અંદાજિત ૧,૨૦૦ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ (On the spot) યોજનાઓનો લાભ એનાયત કરવામાં આવ્યો છે.
આદિવાસી સમાજના ઉત્કર્ષ અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહીસાગર વહીવટી તંત્રની કટિબદ્ધતા દોહરાવતા, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરે આ ભગીરથ અભિયાનને સફળ બનાવનાર તમામ કર્મયોગીઓ, અધિકારીઓ અને સહકાર આપનાર જાગૃત નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


