- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
- ગરીબોને પૂરૂં પાડશે સાત્વિક ભોજન
- સરકારે લીધી ગરબોની સંભાળ
ગુજરાત સરકારે ગરીબો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના કુલ 149 સ્થળો પર સરકાર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વિસ્તાર કરવા જઈ રહી છે. જ્યાં શ્રમયોગી અને ગરીબોને માત્ર 5 જ રૂપિયામાં ભરપેટ સાત્વિક ભોજન મળી શકશે.
આ અંગે માહિતી આપતા ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કડિયાનાકા પર મળતા 5 રૂપિયામાં ભોજનની યોજનાનો વિસ્તાર કરીને ગુજરાતભરમાં અલગ અલગ 149 સ્થળો એ સરકાર દ્વારા આવા અન્ય સેન્ટરો ખોલીને ત્યાં આ પ્રકારની સુવિધા આપવામાં આવશે. જેમાં ગરીબોને માત્ર 5 રૂપિયામાં ભરપેટ સાત્વિક ભોજન મળી શકશે. આ પહેલનો પ્રારંભ ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે. જેમાં તે ટૂંક સમયમાં ચાંદલોડિયા વિસ્તાર ખાતે આવા સેન્ટરની શરૂઆત કરશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે આ યોજના શરૂ કરાઈ ત્યારે શ્રમિકોને એક ટંક ભોજન માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા. કોરોનાકાળ વખતે આ યોજના અટકી પડતા શ્રમિકોને તકલીફ પડી હતી. જો કે સરકારે બાદમાં આ નિર્ણયને બદલીને એક ટંકના 10ને બદલે રૂ.5નો ભાવ નક્કી કર્યો હતો.
મહત્વનું છે કે રાજ્યમાં ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી અને આજે માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો આ યોજના હેઠળ ₹5 માં ભોજનનો લાભ મેળવી ચૂક્યા છે. શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજનની ડિલીવરી કરવામાં આવે છે. આમ શ્રમયોગીઓને નજીવા દરે સાત્વિક ભોજન મળી રહે છે.
આ યોજના અંતર્ગત શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી-કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી અથવા તો શીરો આપવામાં આવે છે. પ્રતિ ભોજન અત્યારે સરકાર તરફથી ₹37ની સબસીડી ચૂકવીને માત્ર ₹5માં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. શ્રમયોગી બોર્ડ યોજનાનો લાભ લેવા શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈ ભોજનનો લાભ મેળવી શકશે. શ્રમિકોને પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવશે. બાંધકામ શ્રમિકોને એક ઈ- નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળશે. જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઇ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે.


