- વરસાદ બાદ પણ રોગચાળો યથાવત
- શહેરમાં છેલ્લા 48 કલાકમાં ત્રણના મોત
- સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યું આરોગ્ય તંત્ર
સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં ભરથાણામાં 1 વર્ષના બાળકનું તાવમાં મોત થયુ છે. શહેરમાં વરસાદ બાદ પણ રોગચાળો યથાવત છે. શહેરમાં છેલ્લા 48 કલાકમાં ત્રણના મોત થયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય તંત્ર આવ્યું છે.
ભરથાણામાં 1 વર્ષના બાળકને તાવ આવ્યો
ઉલ્લેખનીય છે કે ભરથાણામાં 1 વર્ષના બાળકને તાવ આવ્યો હતો. જેમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયુ છે. જેમાં આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વરસાદ ખેંચાઇ ગયા બાદ પણ રોગચાળો યથાવત છે. જેમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. તેમાં છેલ્લા 48 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે. ડેન્ગ્યુના કારણે 3 લોકોના મોત થયા છે. ત્યારે શહેર મનપાનું તંત્ર દોડતું થયુ છે.
રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો
રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. ડેન્ગ્યુ ટાઈપ-2 એક ખતરનાક સ્ટ્રેન છે. આ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક સ્ટ્રેન છે. ડેન્ગ્યુ વાયરસમાં DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 સ્ટ્રેન છે, જેમાં DENV-2 સ્ટ્રેન સૌથી ખતરનાક છે. DENV-2 ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઇપ જેવા જ છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના 3-7 દિવસ પછી લક્ષણો શરૂ થાય છે.
જાણો ડેન્ગ્યુના લક્ષણો:
ડેન્ગ્યુના લક્ષણો જોવા જઇએ તો તેમાં જોરદાર તાવ, ગંભીર માથાનો દુખાવો, સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો તેમજ ઉબકા આવવા અને ઉલટી થવી, ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ થઇ જાય છે. અને ગંભીર નબળાઇ આવી જાય છે. તેમજ આંખોની પાછળના ભાગમાં દુખાવો થાય છે.
ડેન્ગ્યુથી બચવાના ઉપાયો
ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. જો કૂલરમાં, વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને ખાલી કરી દો. પાણીની ટાંકી ઢાંકીને રાખો. બારીઓ અને દરવાજા પર જાળી લગાવો જેથી મચ્છર બહારથી પ્રવેશી ન શકે. મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ મચ્છર મારવની દવાનો છંટકાવ કરો. મચ્છરોથી બચવા માટે મચ્છરદાની સાથે સૂવાનું રાખો. મચ્છરોથી બચવા માટે આખુ શરીર ઢંકાય તે પ્રકારના કપડાં પહેરો. તાવ, દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
ડૉક્ટરની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે.