- 3 દિવસ પહેલા આવ્યો હતો હૃદયરોગનો હુમલો
- મહેસાણામાં હોમગાર્ડ જવાનને આવ્યો હુમલો
- સારવાર દરમિયાન હોસ્પિટલમાં થયું મોત
મહેસાણામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રહલાદ રાઠોડ નામના હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આ જવાન ફરજ પર હાજર હતો ત્યારે તેને એટેક આવ્યો હતો, 3 દિવસ પહેલા એટેક આવતા તેને હોસ્પિટલે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના જે હોમગાર્ડ જવાનનું હાલ એટેક આવતા મૃત્યુ થયું તે જવાન મોઢેરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો.
ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે
રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, તાજેતરમાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયો છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે.
1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા
તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે.
રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે
નવરાત્રિમાં ગરબા દરમિયાન હાર્ટ અટેકના કેસ વધાવાની શક્યતાને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ અટેક માટે વોર્ડ ઉભો કરાયો છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે આ ખાસ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા ,ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે.