- ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધની આશંકાને લીધે લેવાયો નિર્ણય
- ભારતીય નાગરિકોને લેબનોન પ્રવાસ સમયે સાવધાન રહેવાની સૂચના અપાઈ
- લેબનોન આવતા ભારતીયોને દૂતાવાસથી સતત સંપર્કમાં રહેવા નિર્દેશ અપાયા
લેબનોન જતા ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી આશંકાએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિડલ ઈસ્ટમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલુ છે ત્યારે લેબનોમાં ઈઝરાયલ ગમે તે કંઈક મોટું કરે તેવી શંકાને લીધે ભારતીયોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે.
લેબનોનના બેરુતમાં આવેલા ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે એક એડવાઈજરી જાહેર કરી છે. દૂતાવાસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એક્સ હેંડલ પર આપેલી જાણકારી પ્રમાણે તાજેતરના દિવસોમાં હુમલાઓની ઘટનાઓને જોતા તમામ ભારતીય નાગરિકોને લેબનોનનો પ્રવાસ કરતા સાબદાં રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત લેબનોન આવતા પહેલા બેરુતમાં આવેલા ભારતીય દૂતાવાસથી ઈ-મેઈલ, આઈડી cons.beirut@mea.gov.in અથવા ઈમરજન્સી +96176860128 નંબરના માધ્યથી સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ ગોલાન હાઈટ્સ નામના એક ફુટબોલ ગ્રાઉન્ડ પર રવિવારે મિસાઈલ હુમલો કર્યો હતો અને આ હુમલામાં 12 બાળકો સહિત કુલ 13 લોકોનાં મોત થયા હતા. આ ઘટના પછી ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે એક મોટું યુદ્ધ ફાટી નીકળે તેવી આશંકા દર્શાવવામાં આવી રહી છે.
લેબનોન જતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી
ઈઝરાયલનો દાવો છે કે, રોકેટ લેબનોનથી હિજબુલ્લા આતંકી જૂથ દ્વારા છોડવામાં આવ્યું હતું. હિઝબુલ્લાએ શનિવારે સાંજે થયેલા હુમલામાં સામેલ થવાનો રદિયો આપ્યો હતો અને કહ્યું કે શિયા જૂથનો આ ઘટનાથી કોઈ લેવા-દેવા નથી. હિઝબુલ્લાના ઈનકાર પચી ઈઝરાયલ સંરક્ષણ દળે એક નિવેદનમાં જણાવ્યું કે આઈડીએફના તારણ અને અમારી પાસે મળેલી ગુપ્તચર જાણકારી પછી મજદલ શમ્સ પર રોકેટ ફાયર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યું હતું.


