- નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ગલુડિયાના જન્મની સિઝન વખતે વધુ કેસ
- વહેલી સવારે, રાતે વાહન પાછળ દોડતાં કૂતરાને લીધે સર્જાતાં અકસ્માત
- છેલ્લા એક વર્ષમાં 55,600થી વધુ લોકોને કૂતરા કરડી ગયા
અમદાવાદ શહેરમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના છેલ્લા એક વર્ષના અરસામાં અંદાજે 55,600થી વધુ લોકોને કૂતરા કરડી ગયા છે, એકંદરે રોજ દોઢસોથી વધુ લોકો કૂતરાનો આતંકનો શિકાર બની રહ્યા છે. એકલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 8,430 જ્યારે સોલા સિવિલમાં એક વર્ષમાં 8012 લોકોને કૂતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી છે. આમ એક વર્ષમાં બે સિવિલ હોસ્પિટલમાં જ રોજના 45 જેટલા દર્દીઓ નોંધાયા છે, મોટા ભાગના કેસમાં નાની વયના બાળકોની સંખ્યા વધુ પ્રમાણમાં છે.
અમદાવાદ સિવિલમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના અરસામાં કૂતરા કરડવાના કેસમાં જે દર્દી નોંધાયા છે તેમાં સૌથી વધુ ડિસેમ્બર 2022માં 1095, જાન્યુઆરી 2023માં 1,040 કેસ છે. ઓગસ્ટ 2023માં 770 અને સપ્ટેમ્બર 2023માં 895 કેસ છે. સોલા સિવિલમાં પણ ડિસેમ્બરમાં 920 જેટલા કેસ સામે આવ્યા છે. સોલા સિવિલમાં માત્ર બાળ દર્દીની વાત કરાય તો એપ્રિલ 2023માં 407, મે મહિનામાં 404, જુલાઈમાં 333 અને ઓગસ્ટમાં 290 બાળકોને કૂતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી હતી.
તબીબોનું કહેવું છે કે, મોટે ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ગલુડિયાઓના જન્મની સિઝન હોય છે, માદા શ્વાન પોતાના બચ્ચાં માટે વધુ સજાગ હોય છે એટલે એ અરસામાં કૂતરા કરડવાના વધુ કેસ આવતાં હોય છે. કૂતરુ કરડે એ સ્થિતિમાં રેબિસ વેક્સિન લેવી જરૂરી બની જાય છે. રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો આંતક હજુ એવો જ છે, વહેલી સવારે અને રાતે કૂતરા વાહન પાછળ દોડતાં હોય છે, જેના કારણે વાહન અકસ્માતના કેસ બનતાં હોય છે. શેરી, પોળ, સોસાયટી વગેરે ખાતે રમતાં બાળકોને કૂતરાઓએ બચકાં ભર્યા હોવાના પણ બનાવો બનતાં રહે છે.
77 ટકા જેટલા કેસમાં જે તે વ્યક્તિને ગંભીર ઈજા
સૂત્રો કહે છે કે, કૂતરા કરડવાના મોટા ભાગના કેસમાં 14 વર્ષથી ઓછી વયના બાળકો શિકાર બને છે, 77 ટકા કેસ એવા સામે આવ્યા હતા, જેમાં જે તે વ્યક્તિને કૂતરું કરડવાના કારણે ગંભીર રીતે ઈજા થઈ હતી.
ગુજરાતમાં વર્ષ 2022માં 1.44 લાખ કેસ, છનાં મોત થયાં હતાં
ગુજરાતમાં વર્ષ 2022માં કૂતરા કરડવાના 1.44 લાખ જેટલા બનાવ બન્યા હતા, કૂતરું કરડવાથી હડકવાનો ચેપ વધુ ફેલાતાં આ અરસામાં છ દર્દીઓનાં મોત થયાં હતાં. કૂતરાઓના ત્રાસને પગલે સરકારે ખસીકરણ યોજના બનાવી છે, લાંબા સમયથી ચાલી આવતી આ યોજનાના કારણે ધીમે ધીમે કેસ ઓછા થવા લાગ્યા છે.