ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની આ વખતની ચૂંટણી ભારે રસાકસી ભરી બની હતી. આ વખતે ચુટણીમાં કુલ 3 પેનલ ઉતરી હતી. બાર એસોસિએશનના કુલ 879 વકીલ મતદારો પૈકીના 755 મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ચુંટણીમાં કુલ 89.19 ટકા મતદાન થયું હતું. જેમાં પ્રદ્યુમનસિંહ સિંધા 11મીવાર પ્રમુખ તરીકે ચુંટાયાં હતાં. ગુજરાતભરમાં શુક્રવારે 19મી ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરાયું હતું. ત્યારે. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં પ્રથમવાર ત્રણ પેનલ ઉતરી હતી. જેમાં સહકાર પેનલ, પરિવર્તન પેનલ તેમજ સમરસ પેનલે પોતાનું જોર આજમાવ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ કમિટી સભ્યો મળી કુલ 16 બેઠકો માટે કુલ 50 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં નોંધાયેલાં 867 મતદારો પૈકી 755 વકીલોએ બેલેટ પેપર થકી મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કમિશનર કમલેશ સોની દ્વારા ચૂંટણી બાદ બપોર બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જોકે, મત ગણતરી પ્રક્રિયા લાંબી ચાલી હતી. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સિંધાને 328 મત, અજબખાન સિપાહીને 285 મત જ્યારે વિરેન પટેલને 127 મત મળતાં પ્રદ્યુમનસિંહ સિંધા 11મીવાર પ્રમુખ બન્યાં હતાં.


