આ મોંઘા શિક્ષણ, ટ્રાફિક અને દારૂ-ડ્રગ્સથી હવે તો થાકયાના સુત્રોચ્ચાર દિવાલોમાં લખાયા : કમળ પર લાલ ચોકડી મારી લોકોએ રોષ ઠાલવ્યો
અગ્ર ગુજરાત, સુરત
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે વહેલી સવારે સુરતના ડિંડોલી અને કતારગામ દરવાજા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ પોસ્ટરોમાં જનતાને સ્પર્શતા પાયાના મુદ્દાઓને હથિયાર બનાવી શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
સુરતના જે વિસ્તારોમાં આ પોસ્ટરો લાગ્યા છે તેમાં ડિંડોલી અને કતારગામ મુખ્ય છે. આ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સર્કલ, બ્રિજના પીલર અને જાહેર દિવાલો પર રાતોરાત અજાણ્યા લોકો દ્વારા પોસ્ટરો ચોંટાડી દેવામાં આવ્યા છે. સવારે જ્યારે લોકો નોકરી-ધંધા માટે નીકળ્યા ત્યારે આ પોસ્ટરો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટરોના ફોટા અને વીડિયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ પોસ્ટરોમાં કોઈ એક વ્યક્તિ કે પક્ષનું નામ લેવાને બદલે સીધા જ પ્રતીકાત્મક હુમલા કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં મુખ્યત્વે પાંચ મુદ્દાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. સામાન્ય માણસના ખિસ્સા પર પડતા મારને વાચા આપતા લખાયું છે કે, “આ મોંઘવારીથી હવે તો થાક્યા”. ખાનગી શાળાઓની વધતી ફી અને મોંઘા શિક્ષણ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવામાં આવ્યો છે.
સુરતની વિકટ સમસ્યા બની ગયેલા ટ્રાફિક જામને કારણે લોકોની હાલાકીનો ઉલ્લેખ છે. શહેરમાં ચર્ચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. પોસ્ટરના અંતે લખવામાં આવ્યું છે કે, “આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા.” આ વાક્યો સીધી રીતે જનતાની વેદના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે, પોસ્ટરમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રતીક ‘કમળ’ પર લાલ રંગથી ક્રોસ (X) નું નિશાન મારવામાં આવ્યું છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે આગામી ચૂંટણીમાં ભાજપને નકારવાની અપીલ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ રાજકીય પક્ષ કે સંગઠને આ પોસ્ટરો લગાવવાની જવાબદારી સ્વીકારી નથી.
સ્થાનિક કલ્પેશ ટાંકે જણાવ્યું હતું કે, સુરત શહેરની અંદર, સવારે હું રીંગરોડ ગયો મારા કામથી, મારા કામથી ઉધના ગયો, મારા કામથી કતારગામ વિસ્તારની અંદર મેં ઘણી જગ્યાએ આ પોસ્ટર જોયા છે અને ઘણી જગ્યાએ આ પોસ્ટરની સાથે આ સુરતની જનતાની સચ્ચાઈ દેખાઈ રહી છે. ઘણા લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે, અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો કે લોકો ગેસના બાટલાની લાઇનમાં ઉભા રહી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોની અંદર, આ 30 વર્ષના શાસનની અંદર ઘણા લોકો કોઈ ગેસની લાઈનમાં છે, કોઈ નોટબંધીની લાઈનમાં છે, કોઈ પેટ્રોલની લાઈનમાં છે એટલે આ દેશની જનતાને એક જાગૃત થવાની જરૂર છે.


