નેશનલ હાઇવે પર મોતની ચીચીયારી ગુંજી
હિંમતનગર નજીક ટ્રાવેલ્સ અને કાર વચ્ચે અકસ્માત : છ વ્યકિતઓના મોત
હતભાગીઓ મોડાસાના સરડોઇથી કુંપ જઇ રહ્યા’તા : છ લોકો ગંભીર ઘાયલ : હાઇ-વે પર ટ્રાફિક જામ સર્જાયો
અગ્ર ગુજરાત, હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નેશનલ હાઈવે પર સવારે મોતની ચીચીચારી ગુંજી હતી. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી મુજબ હતભાગી મોડાસાના સરડોઈના રહીશ હતા. તેઓ સરડોઈ ગામથી કૂંપ જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 6 વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
નેશનલ હાઈવે પરના નિયમોના ઉલ્લંઘન અને શોર્ટકટ લેવાની વૃત્તિએ 6 વ્યક્તિઓનો ભોગ લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ અને હાઈવે ઓથોરિટીની પ્રાથમિક તપાસમાં અકસ્માત પાછળના સંભવિત કારણો ગેરકાયદે કટ હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ હાઈવે પર ડિવાઈડર વચ્ચે પાડવામાં આવેલા ગેરકાયદેસર કટનો ઉપયોગ કરવા જતાં આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. હાઈવે પરના જોખમી ઊંચા કટ પર કાર ચઢાવવા જતી વખતે પાછળથી આવતી ખાનગી બસ કાર સાથે અથડાઈ હતી.


