ગીરમાં સિંહો પર સંકટ? : મોતના સિલસિલા વચ્ચે વધુ 3 સિંહો જસાધાર હોસ્પિટલ લવાયા
સરકારી બાબુઓના કાગળ પરના દાવા અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત; સિંહોના ટપોટપ મોતથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા
અગ્ર ગુજરાત, અમરેલી
ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહો પર ફરી એકવાર મોટું સંકટ તોળાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીરમાં સિંહોમાં રોગચાળા અને સતત થઈ રહેલા મોતના આંકડા વન વિભાગ અને સિંહ પ્રેમીઓની ચિંતામાં વધારો કરી રહ્યા છે. આજે એક સિંહના મોત બાદ વધુ 3 સિંહોને જસાધાર એનિમલ કેર હોસ્પિટલમાં લવાયા છે. તો રોગચાળાની ગંભીરતાને જોતાં ગાંધીનગરની ટીમ પણ જસાધાર આવી પહોંચી છે.
ગીરમાં વધુ ત્રણ સિંહોની તબિયત લથડતા તેમને રેસ્ક્યૂ કરીને તાત્કાલિક જસાધાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ આ સિંહો ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે અને સાસણના સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત મોનિટરિંગ રાખી રહી છે. ગીરની પરિસ્થિતિ હાલ ચિંતાજનક છે. જસધાર એનિમલ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળના એક સિંહના મોત બાદ આંકડો 9 પર પહોંચ્યો છે. બાબરીયા રેન્જના 10થી વધુ સિંહો પહેલેથી જ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જસાધાર રેન્જના પણ સિંહો હાલ બીમારીના સકંજામાં હોવાથી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક જસાધાર રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં દોડી આવ્યો હતો. અધિકારીઓએ ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના સિંહોની વર્તમાન પરિસ્થિતિ અંગે જસાધાર રેન્જ કચેરી ખાતે કલાકો સુધી એક અત્યંત ગુપ્ત અને ગંભીર બેઠક યોજી હતી.
ગાંધીનગરથી આવેલા વરિષ્ઠ અધિકારીઓએ સ્થાનિક DCF (ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ), RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અને અન્ય ફિલ્ડ સ્ટાફ સાથે સિંહોના સતત થઈ રહેલા ગૂઢ મૃત્યુ અને ફેલાયેલા રોગચાળા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ લાંબી બેઠક પૂર્ણ થયા બાદ તુરંત જ અધિકારીઓનો કાફલો વાસ્તવિક સ્થિતિ ચકાસવા માટે ફિલ્ડ વિઝિટ અર્થે રવાના થયો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં ઉચ્ચ અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે સિંહોની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પરંતુ કલાકો સુધી ચાલેલી આ ગંભીર બેઠક બાદ બહાર આવેલા અધિકારીઓના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તંત્રના દાવા અને અધિકારીઓના હાવભાવમાં દેખાતો આ તફાવત વન્યપ્રેમીઓમાં અનેક સવાલો અને આશંકાઓ જન્માવી રહ્યો છે. સતત ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન્સ અને એનિમલ કેર સેન્ટરો સિંહોથી ભરાઈ જવા છતાં, વન વિભાગ દ્વારા હજુ સુધી સિંહોના મૃત્યુનો ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. તંત્રની આ ગુપ્તતા શંકાઓને વધુ ઘેરી બનાવી રહી છે.
બીજી તરફ, મીડિયામાં અહેવાલો આવ્યા બાદ તંત્ર જાગ્યું છે. ગીર જસાધાર રેન્જ અને ગીરગઢડા રેન્જમાં આવેલી ડમ્પિંગ સાઇટો (જ્યાં મૃત પશુઓ ફેંકવામાં આવે છે) ને આ રોગચાળાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. વન વિભાગના અધિકારીઓએ ગીરગઢડા ડમ્પિંગ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાં તાત્કાલિક અસરથી સફાઈ અને અન્ય કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. હાલ ગીરગઢડા વિસ્તારમાં સિંહોને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંહોમાં આ ઘાતક સ્થિતિ પાછળ CDV (કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ) હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ વાયરસ વન્યજીવો માટે અત્યંત જીવલેણ સાબિત થતો આવ્યો છે. હાલ પૂરતું, ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ગીર વિસ્તારના સ્ટાફને ‘અલર્ટ મોડ’ પર લાવી દેવામાં આવ્યો છે, પરંતુ સિંહોના વસવાટ પર મંડરાઈ રહેલું આ સંકટ ખરેખર કેટલું મોટું છે તે તો આગામી સમય જ બતાવશે.
બોકસ…
ગીરમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓને પરત બોલાવાયા
ગીર જંગલમાં વર્ષો સુધી ફરજ બજાવી ચૂકેલા જંગલના જાણકાર ઓફિસરો કર્મચારીઓને તાત્કાલિક ગીર પૂર્વની જસાધાર રેન્જમા હાજર થવા હુકમ કરાયો છે. ગાંધીનગર PCCF જયપાલસિંહ રાઠોડનો સંપર્ક કરતા કહ્યું, અગાઉ અહીંયા ગીર જંગલમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારી ટીમને જસાધાર રેન્જમાં બોલાવ્યા છે. આ અધિકારીઓ સ્થાનિક જાણકાર પણ છે અને અન્ય સિંહોનું સ્કેનિંગ કરી તપાસ કરશે. જેમા ડો.રાજન જાદવ સહિત 5 RFO બી.બી.વાળા, RFO એલ.બી.ભરવાડ, RFO આર.કે.પરમાર, RFO વાય.પી.ચાવડા, RFO પી.એન.ચાંદુ સહિત ફોરેસ્ટર વી.જી.સુચારા, ફોરેસ્ટર પી.એમ.રાઠોડ, પી.બી.બાટવા, વી.જે.સિસોદીયા, બી.કે.સોલંકી, એ.ઝેડ.ભારથી, બી.આર.પડતી, બી.વી.બકોતરા, એમ.પી.સાંબડ, જી.એન.સોલંકી, એ.એન.ગઢવી સહિત ફોરેસ્ટનો સમાવેશ થાય છે.
બોકસ…
ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે સમીક્ષા
ટીમે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડર વિસ્તારોમાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓનો આ કાફલો જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચ્યો હતો, જ્યાં તાજેતરમાં મૃત્યુ પામેલા સિંહો અંગે ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ, હાલમાં આ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવેલા અન્ય સિંહોની સ્વાસ્થ્ય સ્થિતિની પણ ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. જોકે, સિંહોના સતત થઈ રહેલા મોતના કારણે પરિસ્થિતિ નાજુક હોવાથી તપાસ ટીમે હાલ પૂરતો મીડિયા સાથે કોઈ પણ વાતચીત કે વિગતો શેર કરવાનો ઇન્કાર કર્યો છે.


