રાજુલામાં સ્ટેશનરી એસોસિએશનમાં ખાનગી શાળાઓની દાદાગીરી સામે રોષ
ખાનગી શાળાઓમાં જ પુસ્તકો ખરીદવાનું વાલીઓ પર દબાણ બંધ કરાવો: પ્રાંતને આવેદન
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા રાજુલા શહેરમાં આવેલ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ અને સ્થાનિક સ્ટેશનરી વેપારીઓનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ સાથે રાજુલા સ્ટેશનરી એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. શાળાઓ દ્વારા ચોક્કસ બુક સ્ટોર્સ કે શાળાના પોતાના સંકુલમાંથી જ મોંઘા ભાવની સ્ટેશનરી ખરીદવા વાલીઓને મજબૂર કરાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજુલાના સ્ટેશનરી એસોસિયનના વેપારીઓએ એકઠા થઇને નાયબ કલેકટર, મામલતદાર અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, ગત ૨૭/૦૪/૨૦૨૬ થી ૦૫/૦૫/૨૦૨૬ દરમિયાન શાળાઓના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગના સ્પષ્ટ નિયમ અનુસાર દરેક શાળાએ નવું સત્ર શરૂ થવાના ૪૫ દિવસ પહેલાં પોતાનું બુક લિસ્ટ શાળાના નોટિસ બોર્ડ પર જાહેર કરવું જોઈએ જેથી સ્થાનિક દુકાનદારો સમયસર પુસ્તકો મંગાવી શકે અને વાલીઓને હાલાકી ન ભોગવવી પડે. પરંતુ રાજુલાની મોટાભાગની ખાનગી શાળાઓ આ નિયમનું પાલન કરતી નથી અને નોટિસ બોર્ડ પણ મુકવામાં આવતા નથી. શાળાઓની અંદરથી જ પાઠ્યપુસ્તકો, ખાનગી પ્રકાશનના પુસ્તકો, નોટબુક અને સ્કૂલ બેગનું વેચાણ કરીને કમાણી કરવામાં આવી રહી છે. ખાનગી પ્રકાશનોના મોંઘા પુસ્તકો શાળામાંથી લેવા ફરજ પડાય છે જ્યારે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સસ્તા સરકારી પુસ્તકો ખરીદવા માટે વાલીઓને બજારમાં ભટકવું પડે છે. વધુમાં જણાવેલ કે , રાજુલાની અંદાજે ૭ થી ૮ જેટલી મોટી ખાનગી શાળાઓએ બુક લિસ્ટ માત્ર એક જ ચોક્કસ વેપારીને આપી સેટિંગ કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને ફરજિયાત ત્યાંથી જ મોંઘી ખરીદી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વેપારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, કેટલીક શાળાઓએ તો સ્કૂલની બહાર જ પોતાની દુકાનો બનાવી લીધી છે અને ત્યાંથી જ સામાન લેવા વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. જેથી આ દબાણ બંધ કરવા માંગ કરી છે. અને જે ખાનગી શાળાએ પુસ્તકો સિલેક્ટ કર્યા હોય તે અન્ય સ્ટેશનરી ન મળે તે કંપની પાસેથી બાંહેધરી લઇ અને ઉંચા પ્રોપિટથી વેચાણ કરી કમાણી કરે છે. તેમજ સરકારી પાઠ્ય પુસ્તકો બહારથી લાવવા માટે વાલીઓને ચીઠ્ઠી આપવામાં આવે છે. અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં અને વાલીઓ લૂંટાતા બચે તે માટે આ પ્રથા તાકીદે બંધ કરાવવામાં સ્ટેશનરી એસોસિયેશન દ્વારા માંગ કરી છે. આ બાબતની ગંભીરતા લઇ તાકિદે નિરાકરણ કરવા રાજુલા સ્ટેશનરી એસોસિયેશન દ્વારા માંગ કરવામાં આવી છે. જોકે આ બાબતની ગંભીરતા લઇ રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બે ખાનગી શાળાઓને નોટીસ આપવામાં આવી છે. જેમાં બાલક્રિષ્ના વિધાપીઠ તથા સેન્ટ જોસેફ ખાનગી શાળાને આપવામાં આવી છે. અને આ અગાઉ તમામ ખાનગી શાળાઓને એક સુચી પત્ર આપવામાં આવ્યો હતો. કોઇપણ ખાનગી શાળા નિયમોનું પાલન નહીં તો કરે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.


