અતિવૃષ્ટિમાં મગફળી, સોયાબીન નિષ્ફળ ગયા બાદ વધુ એક ઉપાધિ
મેંદરડા પંથકમાં ઘંઉ, ચણા, ધાણા, ડુંગળીના પાક ઉપર ‘પીળિયા’ રોગનું આક્રમણ
ઉભો મોલ સુકાઇ રહ્યો હોવાથી ખેડૂતોની ઊંઘ હરામ થઇ ગઇ
અગ્ર ગુજરાત, મેંદરડા
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ધરતીપુત્રો પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો સદંતર નિષ્ફળ ગયા બાદ, ખેડૂતોને આશા હતી કે શિયાળુ એટલે કે રવિ સીઝનમાં તેઓ આ નુકસાનની ભરપાઈ કરી શકશે. જોકે નવી આશા સાથે મોંઘાદાટ બિયારણ,ખાતર અને દવાઓનો ખર્ચ કરીને વાવેલા ઘઉં, ચણા, ધાણા અને ડુંગળીના પાક પર હવે ભેદી રોગચાળાએ આક્રમણ કર્યું છે. ખાસ કરીને ઘઉંના પાકમાં જોવા મળતા ‘પીળિયા’ રોગને કારણે ઉભો મોલ સુકાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.
મેંદરડાના ખેડૂત પરસોત્તમ ઢેબરિયાના જણાવાયું હતું કે કમોસમી વરસાદથી ખરીફ સીઝન પલળી ગયા બાદ ખેડૂતોએ હિંમત હાર્યા વગર રવિ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ હવે ઘઉંના પાકમાં પહેલીવાર એવો રોગ જોવા મળ્યો છે કે જેમાં શરૂઆતમાં પાક સારો દેખાય છે, પણ થોડા દિવસો બાદ તેનો વિકાસ અટકી જાય છે.
તેને વધુમાં કહ્યું કે, ઘઉંનો કુદરતી લીલો પોપટી કલર બદલાઈને પીળો પડી જાય છે અને છોડ સુકાવા લાગે છે. ખેડૂતોએ એગ્રોમાંથી મોંઘી દવાઓ લાવીને છંટકાવ કરવા છતાં કોઈ રિઝલ્ટ મળતું નથી,જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે ડબલ ફટકો પડી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો આ રોગની તપાસ કરે અને સચોટ દવાની ભલામણ કરે.
હેસિયત નરેન્દ્રભાઈ ખૂંટે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, વર્ષોથી ખેતી કરવા છતાં આવો અનુભવ ક્યારેય થયો નથી. બે પાણી પાયા બાદ અચાનક જ પાક પીળો પડવા માંડ્યો છે. ખેડૂતોએ દેવું કરીને મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશકો વાપર્યા છે, છતાં મહેનત પાણીમાં જતી દેખાય છે.
સહાય જાહેર નહીં થાય તો જીવન નિર્વાહ મુશ્કેલ બનશે
ખેડૂતોનો અનુરોધ છે કે સરકાર કૃષિ નિષ્ણાંતોને મેદાનમાં ઉતારી લેબોરેટરી તપાસ કરાવે અને રાહત દરે દવાઓ ઉપલબ્ધ કરાવે, જેથી દેવાના ડુંગર નીચે દબાઈ રહેલા જગતના તાતને થોડી રાહત મળી શકે. જો સમયસર સર્વે કરી સહાય જાહેર કરવામાં નહીં આવે, તો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બનશે.
હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું છે કે, હાલ ઠંડીનું પ્રમાણ વધતા પાક ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળશે. ઘઉં અને ચણાના પાકમાં હાલ દાણા ભરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નીચું તાપમાન આ પ્રક્રિયાને ધીમી કરી શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડી જળવાઈ રહેશે તો પાક મોડો આવશે, જેની અસર ઉનાળુ પાકના વાવેતર પર પણ પડશે. ઠંડીના કારણે પાકના મૂળની કાર્યપદ્ધતિ ધીમી પડતી હોવાથી ખેડૂતોને આ સમયે વધુ પડતું ખાતર ન આપવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં તેને કહ્યું કે, ખેડૂતોને ઠંડીથી પાક બચાવવા માટે સવાર-સાંજ હળવું પિયત આપવાની પદ્ધતિ અપનાવવા સૂચન કરાયું છે. ફુવારા પદ્ધતિથી પિયત આપવાથી પાકની આસપાસનું તાપમાન જળવાઈ રહે છે અને નુકસાન અટકાવી શકાય છે. તેમજ પાકની આસપાસ કચરો સળગાવીને ધુમાડો કરવાથી પણ તાપમાન જાળવવામાં મદદ મળે છે. મેંદરડા પંથકના ખેડૂતો અત્યારે વહીવટી તંત્ર અને સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે કોઈ વિશેષ પેકેજ કે માર્ગદર્શન આપવામાં આવે.


